પુરીના પ્રસિધ્ધ જગન્નાથ મંદિરના રહસ્યમયી ખજાનાની ચાવી ગાયબ
પુરીના પ્રસિધ્ધ જગન્નાથ મંદિરના રહસ્યમયી ખજાનાની ચાવી ગાયબ થઈ ગઈ છે. જેને લઈ શંકરાચાર્ય અને રાજ્યના વિપક્ષ દળ બીજેપીએ આ ઘટના પર વિરોધ વ્યક્ત કર્યો છે. પુરીના શંકરાચાર્ય સ્વામી નિશ્ચલાનંદ સરસ્વતીએ ઓરિસ્સા સરકારની ભારે નિંદા કરી છે. જ્યારે બીજી બાજુ બીજેપીએ મુખ્યમંત્રી નવીન પટનાયકને આ ઘટના વિશે સ્પષ્ટિકરણ આપવા માંગ કરી છે.
શ્રી જગન્નાથ મંદિર મેનેજમેન્ટ કમિટીના સભ્ય રામચંદ્રદાસ મહાપાત્રએ જણાવ્યું કે કમિટીની ૪ એપ્રિલે બેઠક થઇ હતી તેમાં એ વાત જણાવાઇ હતી કે રત્નભંડારના અંદરના કક્ષની ચાવી ગાયબ થઇ ગઇ છે.
ઓડિશાના ઉચ્ચ ન્યાયાલયના આદેશ બાદ રત્નભંડાર કક્ષમાં ૪ એપ્રિલે સખત સુરક્ષાની વચ્ચે ૧૪ સભ્યની એક ટીમે ૩૪ વર્ષ બાદ તપાસ માટે પ્રવેશ કર્યો હતો. શ્રી જગન્નાથ મંદિર મેનેજમેન્ટ કમિટીના એક અધિકારીએ જણાવ્યુું કે તપાસ ટીમના સભ્યોને અંદરના રૂમમાં પ્રવેશ કરવાની જરૂર નહોતી, કેમ કે તે બહારથી એક લોખંડની ગ્રીલમાંથી જોઇ શકાય છે.