એમ્બેવેલીની હરાજીનો દોર યથાવત જારી રહેશે
૭.૫ અબજ જમા ન થઇ શક્યા
નવીદિલ્હી, તા. ૧૬ : એમ્બેવેલી હરાજીનો દોર યથાવતરીતે જારી રહેશે. કારણ કે, સહારા ૭.૫ અબજ રૂપિયા જમા કરવામાં નિષ્ફળ રહ્યું છે. સુપ્રીમ કોર્ટે કહ્યું છે કે, સહારા કંપની જરૂરી નાણા ચુકવવામાં નિષ્ફળ રહી છે જેના પરિણામ સ્વરુપે એમ્બેવેલીમાં હરાજીની પ્રક્રિયા આગળ વધશે. સહારા ગ્રુપની મહત્વપૂર્ણ એમ્બેવેલી પ્રોપર્ટી માટે હરાજીની પ્રક્રિયાને યથાવતરીતે આગળ વધારવામાં આવશે. સેબી-સહારા રિફંડ ખાતામાં ૭.૫ અબજ રૂપિયા જમા કરવાની જરૂર હતી પરંતુ આ રકમ જમા થઇ શકી નથી. સુપ્રીમ કોર્ટે આજે આ મુજબની વાત કરી હતી. ચીફ જસ્ટિસ દિપક મિશ્રા અને જસ્ટિસ રંજન ગોગોઈ તેમજ એકે સિકરીની બનેલી બેંચને સહારાનું નેતૃત્વ કરી રહેલા વકીલે માહિતી આપી હતી કે, સહારા ગ્રુપે રિફંડ ખાતામાં ૭.૫ અબજ રૂપિયા જમા કર્યા નથી. સહારાના વડા સુબ્રતા રોય અને ગ્રુપનું પ્રતિનિધિત્વ કરતા વરિષ્ઠ વકીલ વિકાસ સિંહે કોર્ટમાં કહ્યું હતું કે, તેઓ ૧૫મી મે સુધી નાણા જમા કરવા માટે એમ્બેવેલીના પાર્સલને વેચવામાં નિષ્ફળ રહ્યા છે. જ્યાં સુધી પ્રોપર્ટીની હરાજીની વાત છે આ પ્રક્રિયા આગળ વધશે. સમગ્ર મામલામાં વધુ સુનાવણી ૧૨મી જુલાઈના દિવસે હાથ ધરાશે. સુપ્રીમે ૧૯મી એપ્રિલના દિવસે એમ્બેવેલીમાં તેની પ્રોપર્ટી પૈકી કોઇ પ્રોપર્ટી પસંદ કરવા અને ૧૫મી મે સુધી વેચવા સહારા ગ્રુપને મંજુરી આપી હતી.