મુખ્ય સમાચાર
News of Wednesday, 16th May 2018

મોદીની ૧૬મી જીત અને રાહુલની ૩૩મી હાર થઇ

કર્ણાટકમાં ભાજપને ૧૦૪, કોંગ્રેસને ૭૮ સીટ : સત્તાવિરોધી લહેર, મોદીના જાદુના કારણે કોંગ્રેસ સરકાર હારી : અડધાથી વધુ પ્રધાન પરાજિત : છ મુસ્લિમ જીત્યા

બેંગલોર,તા. ૧૬ : કર્ણાટક વિધાનસભાની ચૂંટણીના પરિણામ જાહેર કરવામાં આવ્યા બાદ હવે સંપૂર્ણ ચિત્ર સ્પષ્ટ થઇ ગયુ છે. જે મુજબ ભારતીય જનતા પાર્ટીએ વડાપ્રધાન નરેન્દ્ર મોદીના જાદુ અને સત્તા વિરોધી લહેર વચ્ચે સૌથી મોટી પાર્ટી તરીકે ઉભરી આવવામાં સફળતા મેળવી છે. કોંગ્રેસના હાથમાંથી કર્ણાટક પણ નિકળી ગયુ છે. કર્ણાટકમાં છેલ્લી સ્થિતી મુજબ ભાજપને ૧૦૪ સીટો મળી છે અને તેને છેલ્લી ચૂંટણીની સરખામણીમાં ૬૪ સીટનો ફાયદો થયો છે. જ્યારે કોંગ્રેસને ૭૬ સીટ મળી છે અને તેને ૪૪ સીટનુ નુકસાન થયુ છે. જેડીએસને ૩૮ સીટ મળી છે અને છેલ્લી ચૂંટણીની તુલનામાં બે સીટો ઓછી મળી છે. મત હિસ્સેદારીની વાત કરવામાં આવે તો ભાજપને વર્ષ ૨૦૧૩માં ૨૦ ટકાની તુલનામાં ૩૬ ટકા મતહિસ્સેેદારી મળી છે. કોંગ્રેસને વર્ષ ૨૦૧૩માં ૩૭ ટકા મતહિસ્સેદારી મળી હતી જેની સામે હવે ૩૮ ટકા મત હિસ્સેદારી મળી છે. કોંગ્રેસના વોટ વધ્યા છે પરંતુ સીટો ઘટી છે. કોંગ્રેસ દ્વારા લિંગાયતને અલગ ધર્મની માન્યતા આપવા સાથે સંબંધિત કાર્ડ પણ ફ્લોપ રહેતા તેને ફટકો પડ્યો છે. મુસ્લિમ ક્ષેત્રોમાં પણ ભાજપની સ્થિતી મજબુત બની છે. ભાજપને મુસ્લિમ ક્ષેત્રોમાં આ વખતે ૧૫ સીટ મળી છે જે વર્ષ ૨૦૧૩માં પાંચ સીટો હતી. કોંગ્રેસની સીટ ઘટી છે. વડાપ્રધાન મોદીની આ ૧૬મી જીત છે. જ્યારે કોંગ્રેસ પ્રમુખ રાહુલ ગાંધીની આ ૩૩મી હાર છે. હાલમાં ૧૯ રાજ્યમાં ભાજપની સરકાર છે જ્યારે માત્ર ત્રણ રાજ્યમાં કોંગ્રેસની સરકાર છે.  બહુમતિના આંકડા સુધી પહોંચવા માટે કોઇપણ પાર્ટીને ૧૧૨ સીટની જરૂર હતી. એક વખતે પાર્ટીએ ૧૧૨નો બહુમતિનો આંકડો પાર કરીને ૧૨૧ સીટ સુધી લીડ મેળવી હતી પરંતુ છેલ્લે તેની લીડમાં ઘટાડો થયો હતો. ભાજપે કર્ણાટકમાં યોજાયેલી ૨૨૪ વિધાનસભાની કુલ સીટ પૈકીની ૨૨૨માંથી ૧૦૪ સીટો જીતી હતી. ભારતીય જનતા પાર્ટી કર્ણાટકમાં સૌથી મોટી પાર્ટી તરીકે ઉભરી હતી જ્યારે કોંગ્રેસ પાર્ટીને ૭૮ સીટો મળી હતી. જેડીએસ ત્રીજા સ્થાન ઉપર રહી હતી તેને ૩૮ સીટો મળી હતી. અન્યોના ખાતામાં બે સીટો ગઈ હતી. કર્ણાટકમાં મતગણતરી શરૂ થયા બાદથી જોરદાર રોમાંચની સ્થિતિ રહી હતી. કર્ણાટકમાં ચૂંટણી પરિણામથી કોંગ્રેસ પ્રમુખ રાહુલ ગાંધીને ફટકો પડ્યો હતો. કોંગ્રેસના પ્રમુખ બન્યા બાદ ગુજરાત બાદ તેમની આ બીજી સતત હાર રહી હતી.  તેમની રણનીતિ ફરીએકવાર ફ્લોપ રહી છે. ૨૦૧૯ની લોકસભા ચૂંટણી પહેલા કર્ણાટકની ચૂંટણીને સેમિફાઇનલ તરીકે તમામ પંડિતો ગણી રહ્યા હતા. ભારે સસ્પેન્સ અને અપેક્ષાઓ વચ્ચે મતગણતરી શરૂ થયા બાદ શરૂઆતમાં જોરદાર સ્પર્ધા ધારણા પ્રમાણે જ ભાજપ અને કોંગ્રેસ વચ્ચે જોવા મળી હતી.ભાજપે સૌથી મોટી પાર્ટી બનવામાં સફળતા હાંસલ કરી હતી. કર્ણાટક ચૂંટણીના પરિણામ પર દેશના કરોડો લોકોની પણ નજર મતગણતરી શરૂ થયા બાદ કેન્દ્રિત થઇ ગઇ હતી. ૧૨મી મેના દિવસે ઉંચુ મતદાન ૭૦ ટકાની આસપાસ રહ્યા બાદ ભાજપ અને કોંગ્રેસ બન્ને દ્વારા જીત માટેના દાવા કરવામાં આવી રહ્યા હતા. ૧૨મી મેના દિવસે કર્ણાટકમાં ૫૮૫૪૬ મતદાન મથકો પર મતદાન યોજાયું હતું. સવારે ૭થી લઇને સાંજે છ વાગ્યા સુધી મતદાન ચાલુ હતું. કર્ણાટકમાં ૨૦૧૩માં વિધાનસભાની ચૂંટણીમાં ૭૧.૪ ટકા મતદાન થયું હતું જ્યારે આ વખતે ૭૦ ટકા મતદાન થયું હતુ. રાજ્ય વિધાનસભાની ચૂંટણીમાં ૨૧૬ મહિલા ઉમેદવાર સહિત ૨૬૫૪ ઉમેદવારોના ભાવિ ૧૨મી મેના દિવસ બાદ ઇવીએમમાં સીલ થઇ ગયા હતા. ગઇકાલે મંગળવારે તેમના ભાવિનો ફેંસલો થયો હતો. બેલાગાવી જિલ્લામાં સૌથી વધુ સંખ્યામાં ૩૭૨૩૫૮૫ મતદારો નોંધાયા હતા.

બે મતવિસ્તાર જયનગર અને રાજેશ્વરીનગરમાં મતદાન મોકૂફ કરવામાં આવ્યું હતું. કર્ણાટક વિધાનસભાની ચૂંટણી માટે મતદાન પૂર્ણ થતાંની સાથે જ રાજકીય પક્ષો પોતાના સમીકરણો બેસાડવામાં લાગી ગયા  હતા.કર્ણાટક ચૂંટણીના પરિણામ જાહેરલ થયા બાદ ભાજપને સહેજમાં બહુમતિથી વંચિત રહેવાની ફરજ પડી છે. જો કે તેની સ્થિતી પહેલા કરતા ખુબ મજબુત થઇ છે.

(12:36 pm IST)