મુખ્ય સમાચાર
News of Saturday, 20th November 2021

કોચીના જાણીતા ચા વેચનાર આર વિજયનું અવસાનઃ ચા વેચીને 16 વર્ષમાં 26 દેશોનો પ્રવાસ કરનાર કપલની જોડી તૂટી

કોચીની એક નાની ચાની દુકાન 'શ્રી બાલાજી કોફી હાઉસ' ના માલિક... તેમણે પોતાની કમાણીમાંથી વિશ્વભરની મુસાફરી કરી હતી, જેના કારણે તેઓ જાણીતા બન્યા હતા

નવી દિલ્હી: સન્માન અને મહેનતથી કરવામાં આવેલ કોઈપણ કામ નાનું નથી હોતું. તમે ફિલ્મી ડાયલોગ પણ સાંભળ્યો હશે કે, 'અમ્મી જાન કહેતી થી, કોઈ ભી ધંધા છોટા નહીં હોતા. પછી ભલેને તમે રસ્તાની બાજુમાં ઉભા રહીને ચા કેમ વેચતા ન હોય, ઈમાનદારીથી કામ કરો તો આશીર્વાદ મળે છે. કામ કામ હોય છે જેના પર ગર્વ હોવો જોઈએ. જીવનમાં આવી જ કેટલીક બાબતોનો અહેસાસ કરાવનાર એક ચા વેચનારે દુનિયાને અલવિદા કહેનાર સમાચારે તેના ચાહકોને રડાવી દીધા છે.

કોચીના જાણીતા ચા વેચનાર આર વિજયન જેઓ ઘણા દેશોની યાત્રા કરી ચૂક્યા છે, તેમનું શુક્રવારે હૃદયરોગના હુમલાથી અવસાન થયું. તેઓ 71 વર્ષના હતા. વિજયન અને તેમની પત્ની મોહના, કોચીની એક નાની ચાની દુકાન 'શ્રી બાલાજી કોફી હાઉસ' ના માલિક...  તેમણે પોતાની કમાણીમાંથી વિશ્વભરની મુસાફરી કરી હતી, જેના કારણે તેઓ જાણીતા બન્યા હતા. આ કપલ તાજેતરમાં રશિયાના પ્રવાસેથી પરત ફર્યું હતું. રશિયા જતા પહેલા વિજયને કહ્યું કે તે ઓક્ટોબર ક્રાંતિની વર્ષગાંઠ જોવા માંગે છે, જેમાં 1917માં બોલ્શેવિક પાર્ટીએ રશિયામાં સત્તા મેળવી હતી. તેઓ શાંત વહેતી વોલ્ગા નદીને નજીકથી જોવા માટે ઘણા ઉત્સુક હતા.

સેલિબ્રિટી બન્યું ટી સ્ટોલ

લગભગ આખા ભારતની મુસાફરી કર્યા પછી આ વર્ષે દંપતીએ અમેરિકા (યુએસ), જર્મની સહિત ઘણા દેશોની યાત્રાઓ પૂર્ણ કરી. જ્યારે દુનિયાને તેમના શોખ વિશે ખબર પડી ત્યારે ચા વેચનાર સેલિબ્રિટી બની ગયા. જેને ઇન્ટરનેશનલ મીડિયાએ પણ કવર કરી ફ્રન્ટ પેજમાં સ્થાન આપ્યું હતું. તેમના શોખને વિજયન માટે સ્પોન્સરશિપ પણ મળી અને જેઓએ આ જોડી માટે મદદ કરી તેમાં અમિતાભ બચ્ચન, શશિ થરૂર અને આનંદ મહિન્દ્રાનો સમાવેશ થાય છે.

આ રીતે આખી દુનિયામાં ફર્યા

હકીકતમાં, આ બંને પતિ-પત્ની દુકાનમાંથી રોજની કમાણીમાંથી 300 રૂપિયા અલગ રાખતા હતા. 2007માં તેઓ પ્રથમ વખત ઈઝરાયેલ ગયા હતા. કહેવાય છે કે છેલ્લા 14 વર્ષમાં આ કપલ 26 દેશોમાં ફર્યા હતા. તેઓ આ પ્રવાસો માટે નાની લોન પણ લેતા હતા. મીડિયા રિપોર્ટ્સ અનુસાર, દંપતીએ 27 વર્ષ પહેલા 1994માં કોફી શોપ શરૂ કરી હતી અને કોરોના મહામારી પહેલા તેઓ 26 દેશોની મુલાકાત લઈ ચૂક્યા છે.

એક મહિના પહેલા સમાચાર એજન્સી ANI સાથેની તેમની 26મી મુલાકાત વિશે વાત કરતા વિજયને કહ્યું હતું કે, 'COVID-19 ફાટી નીકળ્યા બાદ પ્રવાસન સ્થળો ફરી ખોલવામાં આવ્યા છે. જ્યારે ટ્રાવેલ એજન્ટે મને કહ્યું કે આગામી સફર રશિયાની છે, ત્યારે મેં વિનંતી કરી કે અમારા નામ પણ આ યાદીમાં ઉમેરવામાં આવે અને આ યાત્રા 21 ઓક્ટોબરે શરૂ થઈને 28 ઓક્ટોબરે પૂરી થવાની હતી. તેમની પત્ની મોહનાએ કહ્યું હતું કે, 'રશિયા એ સ્થળ છે જ્યાં હું જવા માંગુ છું. કોવિડ-19 મહામારીને કારણે આપણે ઘણું સહન કર્યું છે. હવે ફરી એકવાર મુસાફરી કરવાનો સમય આવી ગયો છે. બંને રશિયન રાષ્ટ્રપતિ પુતિનને પણ મળવા માંગતા હતા.

અત્રે ઉલ્લેખનીય છે કે, આ દંપતી કોઈ જગ્યાએ ફરવા જાય તે પહેલા પોતાના ટી સ્ટોલ પર પોસ્ટર સ્વરૂપે તેની માહિતી મૂકતા હતા. જ્યારે તેમની પત્ની તેની દુકાન પર ચા અને નાસ્તો બનાવતી હતી, વિજયન પોતે ચા બનાવતા હતા. તેમણે સૌપ્રથમ દેશના લગભગ તમામ ધાર્મિક અને પર્યટન સ્થળોની મુલાકાત લીધી હતી. તેઓ 100થી વધુ વખત ભગવાન બાલાજીના મંદિરે ગયા હતા. આ પછી તેમણે દેશની બહાર પ્રવાસ પણ શરૂ કર્યો.

આ કપલના વિશ્વભરમાં પ્રવાસ કરવાના સમાચાર સોશિયલ મીડિયા પર વાયરલ થયા પછી તેમને ઉદ્યોગપતિ આનંદ મહિન્દ્રા ઉધોગપતિ મળવા લાગ્યા, જેમણે 2019 માં ઓસ્ટ્રેલિયાની સફરનો ખર્ચો ઉઠાવ્યો હતો. વિજયને પોતાના પ્રવાસ વિશે મીડિયાને કહ્યું હતું કે પ્રવાસ મારા લોહીમાં છે. અનુભવ એ શ્રેષ્ઠ શિક્ષક છે અને મુસાફરી એ શ્રેષ્ઠ અનુભવ છે, જે તમને સમૃદ્ધ બનાવે છે.

આ કપલની રશિયાની છેલ્લી મુલાકાત 21 ઓક્ટોબરે હતી અને તેઓ 28 ઓક્ટોબરે પરત ફર્યા હતા. પ્રખ્યાત લેખક એનએસ માધવને ટ્વીટ કર્યું, 'વિશ્વના ઘણા દેશોની યાત્રા કરી ચૂકેલા એર્નાકુલમના ચા વેચનાર વિજયનનું નિધન થયું છે. તેઓ હમણાં જ રશિયાથી પાછા ફર્યા હતા, જ્યાં તેઓ પુતિનને મળવા માંગતા હતા.વિજયનના પરિવારમાં તેમની પત્ની, બે પુત્રીઓ શશિકલા, ઉષા અને ત્રણ પૌત્રો છે.

(4:51 pm IST)