પીએમ મોદી એકશનમાં : સબરીમાલા મંદિર પણ બંધ
આંધ્રપ્રદેશ અને તામિલનાડુમાં વરસાદનું તાંડવ : પાણીમાં વહી રહ્યા છે મૃતદેહો
નવી દિલ્હી તા. ૨૦ : આંધ્રપ્રદેશના વાયએસઆર કુડ્ડાપાહ જિલ્લામાં ઓછા દબાણના વિસ્તારની રચનાને કારણે ભારે વરસાદ અને પૂરને કારણે ૧૨ લોકોના મોત થયા છે અને ઘણા લોકો ગુમ છે. જિલ્લાના રાજમપેટ વિભાગના નંદાલુરૂ, મંડાવલ્લી અને અકાપાડુ ગામમાં ત્રણ બસો પૂરના પાણીમાં ફસાઈ ગઈ હતી, પોલીસે જણાવ્યું હતું. ચેયુરુ જળાશય તૂટવાને કારણે પૂરના પાણી રસ્તાઓ પર ભરાઈ ગયા હતા, જેમાં આ બસો ડૂબી ગઈ હતી. તમિલનાડુ અને કેરળમાં ભારે વરસાદના કારણે લોકોનું જીવન મુશ્કેલ બની ગયું છે. કયાંક મકાન પડવાથી લોકોના મોત થઈ રહ્યા છે, તો સબરીમાલા મંદિરને પણ એક દિવસ માટે બંધ કરી દેવામાં આવ્યું છે. આંધ્રપ્રદેશની ખરાબ સ્થિતિ જોઈને પીએમ મોદીએ સીએમ વાયએસ જગનમોહન રેડ્ડી સાથે વાત કરી છે.
બસમાં કેટલાક મુસાફરો પૂરના પાણીમાં ડૂબી ગયેલા જોવા મળ્યા હતા. ગુડાલુરુ ગામમાં સાત મૃતદેહો, રાયવરમ ગામમાં ત્રણ અને મદનપલ્લે ગામમાં બે મૃતદેહો બહાર કાઢવામાં આવ્યા હતા. અધિકારીઓ એ જાણવાનો પ્રયાસ કરી રહ્યા હતા કે તે બસના મુસાફરોના મૃતદેહ છે કે નજીકના ગામના લોકોના. ફાયર ફાઈટરોએ અન્ય બે બસના મુસાફરોને બચાવી લીધા હતા. પોલીસે જણાવ્યું હતું કે મૃતકોની સંખ્યા વધવાની ધારણા છે કારણ કે કેટલાક હજુ પણ ગુમ છે.
YSR કુડ્ડાપાહ જિલ્લો ભારે વરસાદ અને પૂરથી સૌથી વધુ પ્રભાવિત છે. મુખ્ય પ્રધાન વાયએસ જગન મોહન રેડ્ડી પરિસ્થિતિનું મૂલ્યાંકન કરવા શનિવારે કુડ્ડાપાહ જિલ્લામાં હવાઈ સર્વેક્ષણ કરશે, શુક્રવારે અહીં એક સત્ત્।ાવાર રિલીઝમાં જણાવાયું છે. શ્રી રેડ્ડીએ ભારે વરસાદને કારણે મૃત્યુ પામેલા લોકોના પરિવારો પ્રત્યે ઊંડી સંવેદના વ્યકત કરી હતી અને અધિકારીઓને મૃતકોના નજીકના સંબંધીઓને રૂ. ૫ લાખની સહાય આપવાનો નિર્દેશ આપ્યો હતો. મુખ્યમંત્રીએ કહ્યું કે રાજય સરકાર ભારે વરસાદથી પ્રભાવિત લોકોની મદદ માટે આગળ આવશે અને તેમને શકય તમામ મદદ કરવાની ખાતરી આપી.