મુખ્ય સમાચાર
News of Friday, 20th November 2020

દેશને વિભાજિત કરવા લવ જેહાદ શબ્દ ભાજપના ભેજાની ઉપજ

રાજસ્થાનના મુખ્યપ્રધાનના ભાજપ પર પ્રહાર : સંવેદનશીલ મુદ્દે આંખ આડા કાન કરવા એ તેમની હલકી માનસિકતા છે, મુખ્યમંત્રી અશોક ગેહલોતના નિવેદન બાદ ભાજપ ભડક્યું

જયપુર, તા. ૨૦ : રાજસ્થાનના મુખ્યમંત્રી અશોક ગેહલોતે 'લવ જેહાદલ્લ શબ્દને લઈને શુક્રવારે ભારતીય જનતા પાર્ટી ઉપર પ્રહાર કરતા જણાવ્યું કે, ભાજપે દેશને વિભાજીત કરવા અને સાંપ્રદાયિક સૌહાર્દને ખરાબ કરવા માટે આ શબ્દ ઘડ્યો છે. ભાજપે પણ પલટવાર કરતા અશોક ગેહલોતને આડેહાથ લીધા હતા.

અશોક ગેહલોતે ટ્વીટ કરીને જણાવ્યું કે, લવ જેહાદ શબ્દ ભાજપે દેશના ભાગલા પાડવા અને સાંપ્રદાયિક સૌહાર્દને બગાડવામાટે ઘડ્યો છે. લગ્ન એ વ્યક્તિગત સ્વતંત્રતાનો મામલો છે જેના પર લગામ લગાવવા કાયદો ઘડવો સંપૂર્ણ રીતે ગેરબંધારણિય છે અને તે કોઈપણ કોર્ટમાં ટકી શકે તેમ નથી. પ્રેમ હોય ત્યાં જેહાદને કોઈ સ્થાન નથી હોતું.

મુખ્યમંત્રી ગેહલોતના આ ટ્વીટ પર ભાજપે વળતો પ્રહાર કરતા કહ્યું કે, આ બાબત પ્રત્યે આંખ આડા કાન કરવા તે તેમની (અશોક ગેહલોત)ની હલકી વિચારધારાને છતી કરે છે. રાજસ્થાન ભાજપના પ્રમુખ સતીશ પૂનિયાએ જણાવ્યું કે, આપણી સંસ્કૃતિમાં, લગ્ન માત્ર એક વ્યક્તિગત પસંદ નથી તેમાં ધર્મ અને સમાજની મંજૂરી પણ સામેલ છે.

લવ જેહાદનો એજન્ડા આપણી દીકરીઓને હેરાન કરવાનો છે અ તેને નજરઅંદાજ કરવું જોઈએ નહીં. આવું કરવું તે અશોક ગેહલોતના હલકા વિચાર દર્શાવે છે. ઉત્તર પ્રદેશ સરકાર લવ જેહાદ વિરુદ્ધ કડક કાયકો બનાવવાની તૈયારી કરી રહી છે જેને પગલે અશોક ગેહલોતના આ નિવેદનથી રાજકારણ ગરમાયું છે. અશોક ગેહલોતે વધુ એક ટ્વીટ કરીને જણાવ્યું કે દેશમાં એવો માહોલ સર્જાયો છે કે વયસ્કોની પરસ્પરની સહમતિ રાજ્ય સરકારની દયા પર નિર્ભર રહેશે. લગ્ન એ વ્યક્તિગત નિર્ણય હોય છે અને તેના પર નિયંત્રણ લાદવો તે વ્યક્તિગત સ્વતંત્રતા છીનવવા સમાન છે. આ પગલું સાંપ્રદાયિક સૌહાર્દને ડહોળવા, સામાજિક તણાવ વધારનાર હોય તેમ જણાય છે. સરકાર દ્વારા નાગરિકોને કોઈપણ પ્રકારના આધારે ભેદભાવ નહીં કરવાના બંધારણીય જોગવાઈથી પ્રતિકૂળ છે.

(7:23 pm IST)