મુખ્ય સમાચાર
News of Friday, 20th November 2020

પ્રેમપ્રકરણે વેપારીનો જીવ લીધોઃ પ્રેમિકાના ફિયાન્સે ગળુ કાપી, લાશને સૂટકેશમાં ભરી ભરૂચ પાસે ફેંકી દીધી

હત્યા કરનારની થનાર ર૯ વર્ષની પત્નિ સાથે ૧૦ વર્ષથી આડા સંબંધ હતા

નવી દિલ્હી તા. ર૦ : ઉત્તર દિલ્હીના આદર્શનગરમાં એક વપારીની હત્યા કરીને તેની લાશ સૂટકેસમાં પેક કરીને રાજધાની ટ્રેનમાં લઇ જવાઇ હતી અને તે ગુજરાતના ભરૂચ પાસે ફેંકી દેવામાં આવી હતી. આ ઘટનામાં પ્રેમપ્રકરણ હોવાનું જાણવા મળ્યું છે.

૪૬ વર્ષના વેપારીની હત્યા તે જે મહિલા સાથે પ્રેમપ્રકરણમાં હતો તેના ફિયાન્સે કરી હોવાનું પોલીસનું કહેવું છે હત્યા બાદ લાશ સૂટકેસમાં નાખીને રાજધાની એસપ્રેસમાંથી ગુજરાતમાં ભરૂચ પાસે કોઇ સ્થળે નાખી દીધી હતી.

ડીસીપી વિજયંત આર્યે કહ્યું હતું કે 'પહેલા પુરૂષનું માથું એક ઇંટથી ફોડી નાખવામાં આવ્યું હતું અને એ પછી તેના પર ચપ્પુથી વાર કરાયો હતો અને ગળું કાપી નખાયું હતું. આ વેપારીએ મહિલાને અન્યત્ર લગ્ન કરતાં અટકાવ્યો હતો.'

નીરજ ગુપ્તા નામનો વેપારી કરોલબાગમાં એક ફાયનાન્સ કંપની ચલાવતો હતો તે પોતાની પત્ની અને બાળકો સાથે આદર્શનગરમાં રહેતો હતો. ૧૪ નવેમ્બરના રોજ ગુપ્તા પાછા નહિ ફરતાં તેની પત્નીએ ગુમ થવાની ફરીયાદ નોંધાવી હતી. ડીસીપીએ ઉમેર્યું હતું કે 'ગુપ્તાની પત્નીએ અમને જાણ કરી હતી. કે તે તેની ર૯ વર્ષની મહિલા કર્મચારી સાથે ૧૦ વર્ષથી લગ્ન બાહય સંબંધ ધરાવતા હતા એ પછી પોલીસેએ દિશામાં તપાસ કરી હતી અને ફૈઝલ અને તેની ફિયાન્સ જુબેર અને તેની માતા શાહીન નાઝની ધરપકડ કરી હતી.'

'એવું જાણવા મળ્યું હતું કે ફૈઝલે તાજેતરમાં જ જુબેર સાથે સગાઇ કરી હતી. ગુપ્તાને આ વાતની જાણ થતાં તેને લગ્ન કરવા ના પાડી હતી અને એક રાત્રે તે આઝાદપુરમાં આવેલ ફૈઝલના ઘરે પહોંચી ગયો હતો.આ દરમિયાન ફૈઝલ પણ ત્યાં હાજર હતો અને બન્ને વચ્ચે ઝઘડો થયો હતો. ફૈઝલે ગુપ્તાના માથામાં બોથડ હથીયાર ફટકારી દીધું હતું. એ પછી ચપ્પુથી તેની પર ત્રણ ઘા કર્યા હતા અને ગળું કાપું નાખ્યું હતું તેમ ડીસીપીએ કહ્યું હતું.

ગુપ્તાના મૃતદેહના નિકાસ માટે આ લોકોના કહેવા પ્રમાણે એક મોટી સુટકેસ ખરીદી હતી. તેમાં લાશને નાખીને નિઝામુદ્દીન રેલવે સ્ટેશને લઇ ગયા હતા. એ પછી તે રાજધાની એકસપ્રેસમાં લાશને લઇને બેસી ગયો હતો. તે ટ્રેનોની પેન્ટ્રીઝમાં કામ કરતો હોવાથી તેની કોઇએ પુછપરછ કરી ન હતી.

ગોવા જતી આ ટ્રેન ગુજરાતના ભરૂચ પહોંચી તો જુબેરે સુટકેસ ફેંકી દીધી હોવાનું કહેવાય છે. પોલીસને ચપ્પુ અને ઇંટ મળી ગઇ છે. હવે લાશને રિકવર કરવા માટેના પ્રયાસો થઇ રહ્યા છે.'

(2:49 pm IST)