સબરીમાલા મુદ્દે એક મહિનામાં નવો કાયદો બનાવવા કેરળ સરકારને સુપ્રિમકોર્ટનું કહેણ
કાયદાના ડ્રાફ્ટમાં મંદિરોની સલાહકાર સમિતિમાં એક તૃતિયાંશ પ્રતિનિધિત્વ મહિલાઓને અપાશે
નવી દિલ્હી : સુપ્રીમ કોર્ટે કેરળ સરકારને એક મહિનામાં સબરીમાલા મુદ્દે નવો કાયદો બનાવવાનું કહ્યું છે. પંડલમ રાજઘરાનાની અરજી પર સુનવણી કરતી વખતે 3 સભ્યો વાળી બેન્ચે આ આદેશ જાહેર કર્યો. તેના પર રાજ્ય સરકારના વકીલે કહ્યું કે મંદિરોના પ્રબંધન માટે અલગ કાયદો બનાવવામાં આવી રહ્યો છે. સાથે જ મંદિરોની સલાહકાર સમિતિમાં મહિલાઓના સામેલ કરવાની વાત પણ કહી હતી. ત્યારબાદ કોર્ટે આગામી સુનવણી જાન્યુઆરી 2020માં કરવાનો આદેશ આપ્યો.
કેરળ સરકારના વકીલે કહ્યું કે નવા કાયદા અંતર્ગત તે દરેક મંદિરોનું પ્રબંધન કરવામાં આવશે જેનું સંચાલન વર્તમાનમાં ત્રાવણકોર દેવાસ્થાન બોર્ડ કરે છે. કાયદાના ડ્રાફ્ટમાં મંદિરોની સલાહકાર સમિતિમાં એક તૃતિયાંશ પ્રતિનિધિત્વ મહિલાઓને આપવાનો પણ પ્રસ્તાવ છે. રાજ્ય સરકારે કહ્યું કે અત્યારે 50 વર્ષથી વધારેની ઉંમરની મહિલાઓને તેમાં સામેલ કરવામાં આવશે.