મુખ્ય સમાચાર
News of Wednesday, 20th November 2019

બંગાળમાં એનઆરસી કોઇ પણ કિંમતે મંજુર કરીશું નહીં

ધર્મના આધાર પર વિભાજન નહીં ચાલે : મમતા બેનર્જી : એનઆરસીના પ્રશ્ને ગૃહમંત્રી અમિત શાહ અને મમતા બેનર્જી સામ સામે

કોલકાતા, તા. ૨૦  : પશ્ચિમ બંગાળના મુખ્યમંત્રી મમતા બેનર્જીએ આજે લોકોને ખાતરી આપી હતી કે, બંગાળમાં એનઆરસીને ક્યારે પણ મંજુરી આપવામાં આવશે નહીં. કેન્દ્રીય ગૃહમંત્રી અમિત શાહે જાહેરાત કરી હોવા છતાં બંગાળમાં એનઆરસીને મંજુરી આપવામાં આવશે નહીં. આગામી દિવસોમાં એનઆરસીના મુદ્દે મોદી સરકાર અને મમતાની બંગાળ સરકાર આમને સામને આવી શકે છે. આસામમાં હાથ ધરવામાં આવેલી કવાયતની જેમ જ નાગરિકોની યાદી દેશભરમાં તૈયાર કરવામાં આવશે. દેશભરમાં એનઆરસી લાગૂ કરવામાં આવનાર છે તેવા અમિત શાહ દ્વારા કરવામાં આવેલા દાવા છતાં મમતા બેનર્જીએ આજે વિરુદ્ધમાં પ્રતિક્રિયા આપી હતી. ટીએમસીના વડાએ ૧૪ લાખ હિન્દુઓ અને બંગાળીઓની હકાલપટ્ટી મુદ્દે ભાજપ પાસેથી જવાબની માંગ કરી છે.

                  આસામમાં અંતિમ એનઆરસીની યાદીમાંથી ૧૪ લાખ હિન્દુઓ અને બંગાળી લોકોને દૂર કરવામાં આવી ચુક્યા છે. મમતા બેનર્જીએ કહ્યું છે કે, કેટલાક લોકો એવા છે કે, એનઆરસીના અમલીકરણના નામ પર અવ્યવસ્થા અને અંધાધૂંધી ફેલાવવાના પ્રયાસ કરી રહ્યા છે. તેઓ એક બાબત સ્પષ્ટ કરી દેવા માંગે છે કે, અમે બંગાળમાં એનઆરસીને ક્યારે પણ મંજુરી આપીશું નહીં. એક જાહેર બેઠકમાં સંબોધન કરતા મમતા બેનર્જીએ કહ્યું હતું કે, કોઇપણ વ્યક્તિ અમારી નાગરિકતા આંચકી શકે નહીં. સાથે સાથે કોઇપણ નાગરિકને શરણાર્થી બનાવી શકાય નહીં. ધર્મના આધાર પર વિભાજન કરી શકાય નહીં. બંગાળમાં એનઆરસીના અમલીકરણ અંગે વાત કરતા પહેલા ભાજપે ૧૪ લાખ હિન્દુ અને બંગાળી લોકોને જવાબ આપવા પડશે. મમતા બેનર્જી લડાયક દેખાઈ રહ્યા છે.

(7:33 pm IST)