મુખ્ય સમાચાર
News of Wednesday, 20th November 2019

સમગ્ર દેશમાં એનઆરસી લાગૂ થશે : ગૃહમંત્રી અમિત શાહની સ્પષ્ટ વાત

ધર્મના આધાર પર એનઆરસીમાં ભેદભાવની શંકા ફગાવી : કોઇ વિશેષ ધર્મના લોકોને આના લીધે ભયભીત થવાની જરૂર નથી : દેશના તમામ નાગરિક એનઆરસી યાદીમાં જોડાય તે હેતુ રખાયો : કેન્દ્રીય ગૃહપ્રધાન

નવીદિલ્હી, તા. ૨૦ : રાજ્યસભામાં આજે ગૃહમંત્રી અમિત શાહે એનઆરસીના મુદ્દા પર વિપક્ષોના આરોપોનો ફરી એકવાર જવાબ આપ્યો હતો. તેમણે ધર્મના આધાર પર એનઆરસીમાં ભેદભાવ કરવાની આશંકાને ફગાવી દીધી હતી. તેમણે કહ્યું હતું કે, એનઆરસીના આધાર પર નાગરિકતાની ઓળખની ખાતરી કરવામાં આવશે અને આને સમગ્ર દેશમાં લાગૂ કરવામાં આવશે. તેમણે દાવા સાથે કહ્યું હતું કે, એનઆરસીને સમગ્ર દેશમાં લાગૂ કરવામાં આવશે. આને લઇને કોઇને ભયભીત થવાની જરૂર નથી. કોઇપણ ધર્મ વિશેષના લોકોને ભયભીત થવાની જરૂર નથી. આ એક એવી પ્રક્રિયા છે જેનાથી દેશના તમામ નાગરિક એનઆરસી યાદીમાં સામેલ થઇ શકે છે. ગૃહમંત્રીએ કહ્યું હતું કે, એનઆરસીમાં ધર્મના આધાર પર ભેદભાવ કરવામાં આવશે નહીં. એનઆરસીમાં આ પ્રકારની કોઇપણ જોગવાઈ નથી જેના આધાર પર કહેવામાં આવશે કે, ધર્મના લોકોને આમા સામેલ કરવામાં આવી રહ્યા નથી.

                તેમણે કહ્યું હતું કે, તમામ નાગરિક ભલે તેમના ધર્મમાં કંઇ પણ હોય પરંતુ એનઆરસી લિસ્ટમાં સામેલ થઇ શકે છે. એનઆરસી એક અલગ પ્રક્રિયા તરીકે છે. નાગરિક સુધારા બિલ એક અલગ પ્રક્રિયા છે. તેને એક સાથે રાખી શકાય નહીં. અમિત શાહે ખુલાસો કરતા કહ્યું હતું કે, એનઆરસીની સમગ્ર દેશમાં લાગૂ કરવાની યોજના છે જેથી ભારતના તમામ નાગરિક એનઆરસીની યાદીમાં સામેલ થઇ શકશે. સૈયદ નાસીર હુસૈને રાજ્યસભામાં કોલકાતામાં આપવામાં આવેલા અમિત શાહના નિવેદનના આધાર પર પ્રશ્નો કર્યા હતા. કોંગ્રેસના સાંસદે કહ્યું હતું કે, તેઓ ગૃહમંત્રી પાસેથી જાણવા માંગે છે કે, તમે કોલકાતામાં કહ્યું હતું કે, કેટલાક પાંચ છ ધર્મના લોકોના નામનો ઉલ્લેખ કર્યો હતો. મુસ્લિમોના નામનો ઉલ્લેખ કર્યો ન હતો.

            અમિત શાહે એ વખતે એમ પણ કહ્યું હતું કે, આ તમામ ધર્મના લોકોને નાગરિકતા મળશે. ગેરકાયદે રહેનાર લોકોને પણ નાગરિકતા મળશે. આના કારણે મુસ્લિમોની અંદર બિનસુરક્ષાની ભાવના આવી ગઈ છે. નાગરિકતા બિલ અને એનઆરસી અલગ અલગ પ્રક્રિયા તરીકે છે. આના જવાબમાં કેન્દ્રીય ગૃહમંત્રીએ કહ્યું હતું કે, હિન્દુ, બૌદ્ધ, શીખ, જૈન, ખ્રિસ્તી, પારસી શરણાર્થીઓને નાગરિકતા મળશે. આના માટે સિટિઝનશીપ સુધારા બિલ અલગથી છે જેથી આ શરણાર્થીઓને નાગરિકતા મળી શકે. આ તમામ લોકોને પાકિસ્તાન, બાંગ્લાદેશ અને અફઘાનિસ્તાનમાં ધર્મના આધાર પર ભેદભાવનો શિકાર થવાની ફરજ પડી હતી.

(7:32 pm IST)