29મીએ શ્રીલંકાના નવા ચૂંટાયેલા પ્રમુખ ગોતબાયા રાજપક્શા ભારતની મુલાકાતે
તેમની પહેલી વિદેશ યાત્રા: વિદેશ પ્રધાન એસ જયશંકરે કોલંબોમાં મુલાકાત લીધી
નવી દિલ્હી : આગામી 29મી નવેમ્બરે શ્રીલંકાના નવા ચૂંટાયેલા પ્રમુખ ગોતબાયા રાજપક્શા ભારતની મુલાકાતે આવશે. શ્રીલંકાના પ્રમુખ બન્યા પછીની આ તેમની પહેલી વિદેશ યાત્રા હશે.
ગોતબાયા શ્રીલંકાના પ્રમુખ બન્યા બાદ વિદેશ પ્રધાન એસ જયશંકરે કોલંબોમાં તેમની મુલાકાત લીધી હતી અને ભારતના વડા પ્રધાન મોદી વતી તેમને ભારતની મુલાકાતે આવવાનું ઔપચારિક આમંત્રણ આપ્યું હતું.
ગોતબાયાના પ્રવક્તાએ કહ્યું કે ભારતના વડા પ્રધાનના આમંત્રણનો ગોતબાયાએ સ્વીકાર કર્યો હતો અને 29મી નવેંબરે તેઓ ભારતની મુલાકાતે આવશે તથા વડા પ્રધાન નરેન્દ્ર મોદી સાથે બેઠક યોજશે.
ગોતબાયા શ્રીલંકાના પ્રમુખ બન્યાથી સ્વાભાવિક રીતેજ ભારતની ચિંતા વધી હતી કારણ કે ગોતબાયાનો ઝોક ચીન તરફી રહ્યો છે. ગોતબાયા ચૂંટાયા કે તરત વડા પ્રધાન નરેન્દ્ર મોદીએ ગયા રવિવારે તેમને અભિનંદનનો ફોન કર્યો તો ત્યારે પણ તેમને ભારતની મુલાકાતે આવવાનું આમંત્રણ આપ્યું હતું.