મુખ્ય સમાચાર
News of Wednesday, 20th October 2021

પાયલ માટે લૂંટારાએ મહિલાના પગ કાપી નાખ્યા, મહિલાનું મોત

રાજસ્થાનના જામવારામગઢમાં સનસનાટીભરી હત્યા : લૂંટારુઓએ લૂંટના ઈરાદાથી હત્યા કરી, પરિવારના લોકોએ મૃતકના શરીરને રસ્તા પર મુકીને ટ્રાફિક જામ કર્યો

જયપુર , તા.૨૦ : રાજસ્થાનના જયપુર સ્થિત જામવારામગઢ વિસ્તારમાં એક સનસનાટીભરી હત્યાની ઘટના સામે આવે છે. અહીં ખેતહપુરા ગામમાં લૂંટના ઈરાદે મંગળવારે એક મહિલાની કરપીણ હત્યા કરી દેવામાં આવી હતી. અજાણ્યા લૂંટારાઓએ હત્યા કરીને મહિલાએ પહેરેલી ચાંદીની પાયલ અને અન્ય દાગીના લૂંટવા માટે કુહાડીથી તેના પગ કાપી દીધા હતા. જે બાદ મહિલાનું ઘટના સ્થળે જ મોત નીપજ્યુ હતુ. ઘટનાના પગલે ગામના લોકો ઉમટી પડ્યા હતા. જાણ થતા પોલીસ ઘટના સ્થળે પહોંચી હતી અને તપાસ હાથ ધરી છે. પોલીસને મહિલાના ગળા પર પણ ઈજાના નિશાનો જોવા મળ્યા હતા. પોલીસને પ્રાથમિક દ્રષ્ટિએ એવું લાગે છે, લૂંટારાઓએ મહિલાને લૂંટવા માટે તેની હત્યા કરી હશે. જો કે, પોલીસે આ મામલે કાર્યવાહી આરંભી દીધી છે.

આ હત્યા બાદ સમગ્ર વિસ્તારમાં લોકોમાં રોષ જોવા મળી રહ્યો છે. મહિલાના પરિવારના લોકોએ મૃતકના શરીરને રસ્તા પર મુકીને ટ્રાફિક જામ કર્યો હતો. એટલું જ નહીં પરિવારે ૧૦-૧૫ લાખના વળતરની પણ માંગ કરી હતી. જમવારામગઢના સીઓ લાખન મીણાના જણાવ્યા મુજબ, મહિલાની ઓળખ ગીતા દેવી તરીકે થઈ છે. ખતેહપુરા ગામમાં મહિલા જંગલમાં પશુઓને ચરાવવા માટે ગઈ હતી. જ્યાં આરોપીઓએ તેના માથા પર ધારદાર હથિયારથી હુમલો કર્યો હતો. એ પછી તેના પગ કાપી નાખ્યા હતા. બાદમાં લૂંટારાઓએ મહિલાએ પગમાં પહેરેલી ચાંદીની પાયલ લૂંટી લઈ ફરાર થઈ ગયા હતા.

હત્યાની ઘટનાને લઈને એસપી શંકર દત્ત શર્માનું કહેવું છે કે, મહિલાનું પોસ્ટ મોર્ટમ કરી દેવામાં આવ્યું છે. મહિલાના ગળા પર પણ ઈજાના નિશાનો મળ્યા છે. હત્યારાઓને હાલ પોલીસ શોધી રહી છે. સાથે જ હત્યારાઓને ઝડપી પાડવા માટે પોલીસની ૩૦ પણ બનાવવામાં આવી છે.

મહિલાની હત્યા બાદ આખા ગામમાં આક્રોશ જોવા મળી રહ્યો છે. પરિવાર સહિત ગામના લોકો ધરણાં પર ઉતર્યા હતા અને પોલીસ વિરૂદ્ધ સુત્રોચ્ચાર કર્યા હતા. તેઓની માગ છે કે, હત્યારાઓને ઝડપથી પકડી પાડવામાં આવે. એટલું જ નહીં પરિવાર સહિત ગામના લોકોની એવી પણ માગ છે કે, વળતર પેટે પરિવારને ૧૫ લાખ રૂપિયા આપવામાં આવે.

(7:38 pm IST)