મહારાષ્ટ્ર કોંગ્રેસમાં કકળાટ: નવા પ્રવક્તાની નિમણુક બાદ સચિન સાવંત નારાજ: સોનિયા ગાંધીને મોકલ્યું રાજીનામું
રાજ્યના મુખ્ય પ્રવક્તા તરીકે અતુલ લોંઢેની નિમણૂકથી નારાજ સાવંતે પોતાના ટ્વિટર હેન્ડલ પરથી પ્રવક્તાના પદનું ટેગ પણ હટાવી દીધું
મુંબઈ :છેલ્લા 10 વર્ષથી પ્રેસ કોન્ફરન્સમાં, સોશિયલ મીડિયામાં, ન્યૂઝ ચેનલોની પેનલ ડિબેટમાં કોંગ્રેસ પાર્ટીની વાત મજબુતીથી સામે રાખતા કોંગ્રેસ પ્રવક્તા સચિન સાવંતે પોતાનું રાજીનામું આપી દીધું છે. તેમણે પોતાનું રાજીનામું સીધું હાઈકમાન્ડ એટલે કે સોનિયા ગાંધીને મોકલી આપ્યું છે. તેઓ રાજ્યના મુખ્ય પ્રવક્તા તરીકે અતુલ લોંઢેની નિમણૂકથી નારાજ હોવાનું કહેવાય રહ્યું છે. અતુલ લોંઢે કોંગ્રેસના પ્રદેશ પ્રમુખ નાના પટોલેના નજીકના હોવાનું કહેવાય છે.
કોંગ્રેસની જુદી જુદી સમિતિઓની પુન:રચનાના સંદર્ભમાં નાના પટોલેએ મુખ્ય પ્રવક્તા તરીકે અતુલ લોંઢેની પસંદગી કરી છે. ઘણા પદાધિકારીઓની ફરજો અને જવાબદારીઓ બદલવામાં આવી છે. સચિન સાવંતને મીડિયા અને સંચાર વિભાગની સમિતિમાં સામેલ કરવામાં આવ્યા છે. પરંતુ મુખ્ય પ્રવક્તાની જવાબદારી અતુલ લોંઢેને આપવામાં આવી છે. આ અર્થમાં સચિન સાવંતે લોંઢેના નેતૃત્વમાં કામ કરવું પડશે.
સચિન સાવંત આ ફેરફારથી નારાજ છે. તેમણે પ્રવક્તા પદેથી રાજીનામું આપી દીધું છે. તેમણે હાઈકમાન્ડને પત્ર લખીને વિનંતી કરી છે કે તેમને પ્રવક્તા પદની જવાબદારીઓમાંથી મુક્ત કરવામાં આવે. સાવંતે પોતાના ટ્વિટર હેન્ડલ પરથી પ્રવક્તાના પદનું ટેગ પણ હટાવી દીધું છે.
સચિન સાવંત છેલ્લા ઘણા વર્ષોથી મીડિયામાં મહારાષ્ટ્ર કોંગ્રેસનો ચહેરો હતા. રાજ્યમાં મહાવિકાસ આઘાડી સરકાર આવ્યા ત્યારથી તેઓ કોંગ્રેસ અને મહાવિકાસ આઘાડીના પક્ષને મજબૂતીથી રાખી રહ્યા હતા. કોંગ્રેસ પર વિવેચકોના પ્રશ્નોના જવાબ આપતી વખતે, તેઓ નક્કર દલીલો સાથે વડાપ્રધાન મોદીની ટીકા પણ કરતા હતા.
પરંતુ નાના પટોલે પ્રદેશ પ્રમુખ બન્યા પછી સાવંતનું મહત્વ ધીમે ધીમે ઘટવા લાગ્યું હતું. પરંતુ હવે મુખ્ય પ્રવક્તા પદની જવાબદારી તેમની પાસેથી છીનવી લેવામાં આવી હતી. પ્રાપ્ત માહિતી અનુસાર આ જ કારણ છે કે તેણે નારાજગીથી આ પગલું ભર્યું છે.