મુખ્ય સમાચાર
News of Sunday, 20th October 2019

મેમણ-મિરચી એક શખ્સ છે તે અંગે માહિતી ન હતી

ઇડી સમક્ષ એનસીપી નેતા પ્રફુલ પટેલે વાત કરી : શુક્રવારના દિને પ્રફુલ પટેલની ૧૨ કલાક સુધી પુછપરછ

મુંબઈ, તા. ૨૦ : એનસીપીના નેતા પ્રફુલ પટેલે ઇડીના અધિકારીઓ દ્વારા પુછપરછ દરમિયાન કહ્યું હતું કે, ઇકબાલ મેમણ અને ઇકબાલ મિરચી એક જ વ્યક્તિ છે તે અંગેની તેમની પાસે કોઇ માહિતી ન હતી. પ્રફુલ પટેલે દાવો કર્યો હતો કે, ડ્રગ માફિયાની સાથે ડિલ એક સંબંધીએ કરી હતી જેમનું થોડાક વર્ષ પહેલા મોત થઇ ચુક્યું છે. અત્રે ઉલ્લેખનીય છે કે, અન્ડરવર્લ્ડ ડોન દાઉદ ઇબ્રાહિમ માટે કામ કરી ચુકેલા મેમણની સામે ચાલી રહેલા મની લોન્ડરિંગ કેસની તપાસના સંદર્ભમાં પ્રફુલ પટેલની શુક્રવારે ૧૨ કલાક સુધી પુછપરછ કરવામાં આવી હતી. સુત્રોના કહેવા મુજબ આ તપાસ મિલેનિયમ ડેવલપર્સ નામની કંપની, પટેલ પરિવાર જેને પ્રમોટ કરી રહ્યું હતું તે અને મિરચી પરિવાર વચ્ચે કાયદાકીય ડિલમાં તપાસ કરી છે. અત્રે નોંધનીય છે કે ઇડી કુખ્યાત ગેંગસ્ટપ દાઉદના સાથી ઇકબાલ મિરચી અને પ્રફુલ્લ પટેલ વચ્ચે થયેલી જમીન સોદાબાજીને લઇને તપાસ હાથ ધરી છે. ઇડીનો આરોપ છે કે એનસીપી નેતાના પરિવારના સભ્યો સાથે સમજુતી કરવામાં આવી હતી. પૂર્વ નાગરિક ઉડ્ડયન મંત્રી પ્રફુલ પટેલ અને દાઉદના નજીકના સાથી ઇકબાલ મિરચી વચ્ચે સોદાબાજીના મામલામાં તપાસ ચાલી રહી છે.

              ડઝન જેટલી સેલ કંપનીઓમાં લેવડદેવડની વિગતોમાં તપાસ ચાલી રહી છે. બેનામી બેંક ખાતાઓ ચેન્નાઈમા ઉભા કરવામાં આવ્યા હતા જેનો ઉપયોગ કેટલીક પ્રોપર્ટીઓની વેચાણ પ્રક્રિયા હાથ ધરવા માટે કરવામાં આવ્યો હતો. ઇડીએ આક્ષેપ કર્યો છે કે, એનસીપીના નેતાના પરિવાર તરફથી પ્રમોટેડ કંપની અને ઇકબાલ મિરચી વચ્ચે ફાઈનાન્સિયલ ડિલ થઇ ગઇ હતી. આ ડિલ હેઠળ મિલેનિયમ ડેવલપર્સને મિરચીના વર્લી સ્થિત એક પ્લોટ આપીને કામગીરી હાથ ધરાઈ હતી. આ પ્લોટ પર મિલેનિયમ ડેવલપર્સે ૧૫ માળની કોર્શિયલ અને રેસિડેન્સિયલ ઇમારતનું નિર્માણ કર્યું છે. આ ઇમારતનું નામ સીજે હાઉસ રાખવામાં આવ્યું છે. ૨૦૦૭માં કંપનીએ સીજે હાઉસમાં ૧૪૦૦૦ વર્ગફુટના બે ફ્લોપ મિરચીના પત્નિ હાજરાને એક રજિસ્ટર્ડ એગ્રિમેન્ટ હેઠળ આપ્યા હતા.

              ઇડી પટેલ પરિવાર તરફથી પ્રમોટેડ કંપની મિલેનિયમ ડેવલપર્સ અને મિરચી પરિવાર વચ્ચે થયેલી સમજૂતિમાં તપાસ કરી રહી છે. તેમને બુધવારના દિવસે ઇડી તરફથી સમન્સ જારી કરવામાં આવ્યુ હતુ. તપાસ સંસ્થાએ પટેલને ૧૮મી ઓક્ટોબરના દિવસે હાજર થવા માટે કહ્યુ હતુ. અત્રે ઉલ્લેખનીય છે કે, અંડરવર્લ્ડ ડોન દાઉદ ઇબ્રાહિમના નજીકના સાથી ઇકબાલ મિરચીની સાથે કહેવાતી જમીન સોદાબાજીના મામલે ફસાયેલા એનસીપીના નેતા પ્રફુલ્લ પટેલ શુક્રવારના સવારે એન્ફોર્સમેન્ટ ડિરેક્ટોરેટ સમક્ષ હાજર થયા હતા ત્યારબાદ તેમની ૧૨ કલાક સુધી પુછપરછ કરવામાં આવી હતી. આ ગાળા દરમિયાન મિરચીના સંદર્ભમાં પણ પ્રશ્નો કરવામાં આવ્યા હતા.

(9:33 pm IST)