મહાત્મા ગાંધીની 150મી જન્મજયંતીના ઉજવણી અંતર્ગત પીએમ નિવાસે કાર્યક્રમ : બોલિવૂડની અનેક હસ્તીઓ હાજર
આપણે ગાંધીજીનો ભારત અને દુનિયાને ફરીથી પરિચય કરાવવો જોઈએ: શાહરૂખખાન
નવી દિલ્હીઃ મહાત્મા ગાંધીજીની 150મી જન્મજયંતીની ઉજવણી અંતર્ગત કાર્યક્રમમાં બોલિવૂડના સુપરસ્ટાર શાહરૂખ ખાન અને આમિર ખાન સહિતના બોલિવુડના દિગ્ગ્જ કલાકારો વડાપ્રધાન મોદીને મહાત્મા ગાંધીની 150મી જન્મજયંતીના ઉજવણી માટે આયોજિત એક કાર્યક્રમમાં મળ્યા હતા. વડાપ્રધાનના નિવાસસ્થાને આ કાર્યક્રમનું આયોજન કરાયું હતું, જેમાં બોલિવૂડની અનેક હસ્તીઓ હાજર રહી હતી.
આ પ્રસંગે શાહરૂખ ખાને કહ્યું કે, "અમને સૌને અહીં એક સ્થળે એક્ઠા કરવા માટે હું પીએમ મોદીનો આભાર માનું છું, કાર્યક્રમ પણ મહાત્મા ગાંધીની 150મી જન્મજયંતીની ઉજવણીનો છે. મને લાગે છે કે, આપણે ગાંધીજીનો ભારત અને દુનિયાને ફરીથી પરિચય કરાવવો જોઈએ.
આ પ્રસંગે આમિર ખાને જણાવ્યું કે, "સૌથી પહેલા હું પીએમ મોદી દ્વારા બાપુના સિદ્ધાંતોને ફરીથી પ્રચારિત કરવાના પ્રયાસોની પ્રશંસા કરું છું. એક ક્રિએટિવ વ્યક્તિ તરીકે અમારે આ બાબતે ઘણું કરવું જોઈએ. હું વડાપ્રધાનને ખાતરી આપું છું કે અમે વધુ કંઈક કરીશું.
કાર્યક્રમમાં સંબોધન કરતા વડાપ્રધાન મોદીએ કહ્યું કે, "સર્જનાત્મકતાની શક્તિ અપાર છે અને આપણા રાષ્ટ્ર માટે સર્જનાત્મકતાની આ ભાવનાનો ઉપયોગ કરવો જરૂરી છે. મહાત્મા ગાંધીના આદર્શોને લોકપ્રિય બનાવવાની વાત આવે છે ત્યારે ફિલ્મો અને ટેલિવિઝનની દુનિયાના અનેક લોકો મહાન કામ કરી રહ્યા છે.
શાહરૂખ ખાન અને આમિર ખાન ઉપરાંત આ કાર્યક્રમમાં સોનમ કપુર, અશ્વિની ઐયર, કંગના રણોત, બોની કપૂર, અનુરાગ કશ્યપ, ઈમ્તિયાઝ અલી, જેક્વેલિન ફર્નાન્ડિસ, એક્તા કપૂર સહિતની અનેક હસ્તીઓ હાજર રહી હતી. બોલિવૂડે પીએમ મોદીના દેશ માટે લીધેલા નિર્ણયોની પ્રશંસા કરી હતી.