મુખ્ય સમાચાર
News of Saturday, 20th October 2018

ટ્રેન દુર્ઘટના કેસ : કાર્યક્રમની મંજુરીને લઈને આક્ષેપબાજી

કાર્યક્રમ માટે મંજુરી લેવાઈ ન હતી : રેલવે તંત્ર : કાર્યક્રમના આયોજનની મંજુરી મળી હતી અને એનઓસી હાંસલ કરાઈ હતી : દશેરા કમિટી દ્વારા કરાયેલો ખુલાસો

ચંદીગઢ,તા. ૨૦ : પંજાબના અમૃતસરમાં દશેરાના દિવસે થયેલી ભીષણ ટ્રેન દુર્ઘટનાના સંદર્ભમાં રેલવેનું કહેવું છે કે પૂતળા દહનને જોવા માટે લોકો ત્યાં પાટા ઉપર એકત્રિત થઈ ગયા હતા. જે સ્પષ્ટ રીતે દર્શાવે છે કે આ અતિક્રમણનો મામલો હતો. આ કાર્યક્રમ માટે રેલવે દ્વારા કોઈ મંજુરી લેવામાં આવી ન હતી અથવા તો રેલવે દ્વારા કોઈ મંજુરી પણ આપવામાં આવી ન હતી. ટ્રેક ઉપર આટલી મોટી સંખ્યામાં ભીડ હોવા છતાં ડ્રાઈવર દ્વારા ટ્રેનને નહીં રોકવાના પ્રશ્ન અંગે એક અધિકારીએ કહ્યું હતું કે સ્થળ ઉપર ખૂબ જ ધુમાડાની સ્થિતિ હતી. જેના પરિણામ સ્વરૂપે ટ્રેનના ડ્રાઈવરને કોઈ ચીજો દેખાઈ ન હતી. આ દુર્ઘટનામાં આજ કારણસર મોટી સંખ્યામાં લોકોના મોત થઈ ગયા હતા. રેલવે બોર્ડના ચેરમેન અશ્વિની લોહાનીએ કહ્યું હતું કે મુખ્ય લાઈનની નજીક દશેરાને લઈને રેલવે વહીવટીતંત્રને કોઈ સૂચના આપવામાં આવી ન હતી. રેલવે ટ્રેકની પાસે લોકો દશેરાને જોવા માટે ઉભા રહ્યા હતા. લોકોને સાવધાન રહેવાની જરૂર હતી. આ કહેવું ખોટુ છે કે રેલવે આ ઘટના માટે જવાબદાર છે. મેન લાઈન હોવાથી સ્પીડને લઈને કોઈ મર્યાદા રહેતી નથી. બીજી બાજુ કેન્દ્રિય રેલવે રાજ્યમંત્રી મનોજ સિંહાએ કહ્યું છે કે રેલવેને આ કાર્યક્રમને લઈને કોઈ માહિતી ન હતી. આના ઉપર રાજનીતિ કરવાની બિલકુલ યોગ્ય નથી. અમારી પ્રાથમિકતા ઘાયલોને મદદ કરવાની રહેલી છે. રેલવેના સૂત્રોએ માહિતી આપતા કહ્યું છે કે સ્થાનિક અધિકારીઓને દશેરા કાર્યક્રમની માહિતી હતી અને તેમાં એક વરિષ્ઠ મંત્રીના પત્ની પણ ભાગ લેવા પહોંચ્યા હતા. જેથી આ અતિક્રમણનો મામલો છે. સ્થાનિક વહીવટીતંત્રએ આની જવાબદારી લેવી જોઈએ. રેલવે અને સ્થાનિક વહીવટીતંત્ર વચ્ચે સામ સામે આક્ષેપબાજીનો દોર શરૂ થઈ ગયો છે. બીજી બાજુ રાવણ દહનના કાર્યક્રમના સ્થળને લઈને પ્રશ્નો ઉઠી રહ્યા છે. ટ્રેન દુર્ઘટનાને લઈને શ્રેણીબદ્ધ પ્રશ્નો થઈ રહ્યા છે. રેલવે ટ્રેકની નજીક મેળાનું આયોજન કરવા અને રાવણ દહનની મંજુરીને લઈને પણ પ્રશ્નો ઉઠી રહ્યા છે. દશેરા કમિટીએ પત્ર જારી કરીને કહ્યું છે કે આયોજનની મંજુરી મળી હતી અને એનઓસી પણ પોલી દ્વારા આપવામાં આવી હતી. બે દસ્તાવેજો પૈકી એક પોલીસને લખવામાં આવેલા પત્ર અને અન્ય પોલીસ દ્વારા આપવામાં આવેલા એનઓસીનો મામલો છે. દશેરા સમિતિને રેલવે ટ્રેકની નજીક આયોજનની મંજુરી મળી હતી. આને સાબિત કરવા માટે સમિતિ તરફથી પત્ર જારી કરવામાં આવ્યા છે. રેલવે અને દશેરા કમિટી અને સ્થાનિક વહીવટીતંત્રના લોકો અકસ્માતને લઈને આમને સામને આવી ગયા છે.

(7:41 pm IST)