દેના બેંક, બરોડા બેંક, વિજયા બેંકના સ્ટાફને VRSનો વિકલ્પ આપવામાં આવે તેવી શક્યતા
SBIના મર્જર વખતે ૪૦૦૦ કર્મચારીઓએ VRS લીધુ'તું : ત્રણેય બેંકના અનેક કર્મચારીઓ - અધિકારીઓ VRS લેવાના મૂડમાં
કોલકાતા તા. ૨૦ : બેંક ઓફ બરોડા, દેના બેંક અને વિજયા બેંકના મર્જર બાદ આ ત્રણે બેંકોના ઘણા કર્મચારીઓને ન છૂટકે વોલેન્ટરી રિટાયરમેન્ટ (VRS) લેવું પડશે એવું બેંકિંગ ક્ષેત્રના નિષ્ણાંતોનું કહેવું છે. જોકે, નાણાંમંત્રી અરૂણ જેટલીએ વચન આપ્યું છે કે, આ બેંકોના કર્મચારીઓને રક્ષણ આપવામાં આવશે.
શેરખાનના એનાલિસ્ટ લલિતાભ શ્રીવાસ્તવે જણાવ્યું કે, ગુજરાતમાં બેંક ઓફ બરોડા અને દેના બેંકની મોટી હાજરી છે, એટલે આ બંને બેંકોની બ્રાન્ચો અને એટીએમની સંયુક્ત સંખ્યા ઘણી વધારે થઈ જશે, એટલે તેમાં ઘટાડો કરવામાં આવે તેવી પૂરી શક્યતા છે.
જો સ્ટેટ બેંક ઓફ ઈન્ડિયા અને તેની સહયોગી બેંકોનું મર્જર થાય છે તો સ્ય્લ્ તેનો ભાગ હોય જ છે. એસબીઆઈ અને તેની સહયોગી બેંકોના લગભગ ૪,૦૦૦ જેટલા કર્મચારીઓએ વીઆરએસ લીધું છે.
બેંક ઓફ બરોડા, દેના બેંક અને વિજયા બેંકના કુલ લગભગ ૮૫ હજાર કર્મચારીઓ છે. બેંકોના મર્જર બાદ ઊભી થનારી સ્થિતિને લઈને જુનિયર અને સીનિયર કર્મચારીઓના મનમાં અલગ-અલગ ભાવ ઉત્પન્ન થઈ રહ્યા છે. જુનિયર કર્મચારીઓમાં તેમાં કેરિયરની તક દેખાઈ રહી છે, તો સીનિયર કર્મચારીઓ ચિંતામાં મૂકાઈ ગયા છે. સોમવારે સરકારે કહ્યું હતું કે, કર્મચારીઓનું રક્ષણ કરવામાં આવશે અને તેમને સારું પેકેજ આપવામાં આવશે.