પાકિસ્તાન તરફ ધસમસતી તબાહી :ભારતે છોડ્યું સતલુજનું પાણી :પાક,ની કાગારોળ :નદીઓની જળ સપાટી ભયજનક
પાકિસ્તાનનાં હવામાન વિભાગે પંજાબ જિલ્લામાં પૂરની ચેતવણી આપી
નવી દિલ્હી :પાકિસ્તાન તરફ ભયંકર પુરની સ્થિતિ સર્જાઈ શકે છે પાકિસ્તાનનાં હવામાન વિભાગે પંજાબ જિલ્લામાં પૂરની ચેતવણી આપી છે. પાકિસ્તાનનો આરોપ છે કે, ભારતે કોઇ પણ પ્રકારની પૂર્વસુચના આપ્યા વગર સતલુજ નદીનું પાણી છોડ્યું છે, જેનાં કારણે સતલુજ સહિતની પાકિસ્તાનમાં વહેતી અન્ય નદીઓનું જળ સ્તર ભયજનક સપાટીએ પહોંચ્યું અને પૂરની સ્થિતિ નિર્માણ પામી છે.
પાકિસ્તાનનાં હવામાન વિભાગનાં જણાંવ્યા પ્રમાણે સતલુજ નદીનું જળસ્તર 17.80 ફુટની સપાટીએ પહોંચ્યું છે. જેનાં કારણે આગામી 48 કલાકમાં ગંડા સિંહ વાલામાં મધ્યમથી ઉચ્ચ સ્તર સુધી પૂરની સ્થિતિ નિર્માણ પામી છે, તેમજ અન્ય તમામ પ્રમુખ નદીઓમાં મધ્યમથી નિમ્ન કક્ષાનાં પૂરનાં એલર્ટ જાહેર કરાયા છે
પાકિસ્તાની મીડિયા પ્રમાણે, કોઇ પણ પ્રકારની ચેતવણી વિના ભારતે સતલુજ અને અલસી ડેમમાં પાણી છોડી દીધું છે. પાકિસ્તાનનાં અનેક વિસ્તારોમાં ચોમાસાનાં સતત વરસાદને કારણે પહેલાથી જ દેશનાં વિભીન્ન વિસ્તારોમાં પૂરની સ્થિતિ છે. અલગ-અલગ ઘટનામાં બાળકો સહિત લગભગ 34 લોકોનાં મોત થયાનાં સમાચાર મળી રહ્યા છે.
પંજાબનાં પ્રાંતીય આપદા પ્રબંધન પ્રાધિકરણનાં ડાયરેક્ટર તારિક મસૂદ ફારૂકે જણાંવ્યું કે, ગંડા સિંહ વાલા વિસ્તારમાં પાણીની સપાટી સતત વધી રહી છે. તેમજ આગામી 10થી 15 કલાકમાં ભારત તરફથી છોડવામાં આવેલું પાણી અહિં પહોંચી જશે. જેનાં કારણે જળસ્તરમાં વધારો થશે.