શું ૪૮ કલાક બાદ બચી જશે કુમારસ્વામી સરકાર ?
કર્ણાટકના નાટકનો આખરી હશે સોમવારઃ સોમવારે તાકાતના પારખા થશે
બેંગ્લોર, તા. ૨૦ :. કર્ણાટકમાં સત્તાનુ 'નાટક' હાલ પુરૂ થયુ નથી. ગઈકાલે વિધાનસભામાં વિશ્વાસ પ્રસ્તાવ ઉપર વોટીંગ થયુ નથી. સ્પીકરે ગૃહની કાર્યવાહી સોમવાર સુધી મુલત્વી રાખી છે. હવે સરકારે સોમવારે ગૃહમાં બહુમતી સાબિત કરવી પડશે એટલે કે કુમારસ્વામી સરકાર પાસે હવે માત્ર ૪૮ કલાક રહ્યા છે.
શુક્રવારે ખેલાયેલા રાજકીય ડ્રામા વચ્ચે ભાજપના નેતા યેદીયુરપ્પાએ કહ્યુ છે કે કુમારસ્વામી સરકાર માટે સોમવાર અંતિમ દિવસ હશે. તેમની પાસે નંબર નથી અને તેઓ એવા લોકોને પરવાનગી નથી આપતા જેમની પાસે સરકાર બનાવવા માટે નંબર છે. અમારી પાસે ૧૦૬ સભ્યો છે.
કર્ણાટકના મુખ્યમંત્રી અને કર્ણાટક કોંગ્રેસ ફરી એક વખત સુપ્રીમ કોર્ટ પહોંચી છે. અરજી દાખલ કરી કોર્ટ પાસે ૧૭ જુલાઈના આદેશને સ્પષ્ટ કરવા માંગણી કરી છે. કુમારસ્વામીએ પોતાની અરજીમાં રાજ્યપાલે બહુમતી સાબિત કરવા ડેડલાઈન આપી ગૃહની કાર્યવાહીમાં ચંચુપાત કરવાનો આરોપ મુકયો છે. કર્ણાટકમાં ચાલતો જંગ લાંબો ખેંચાયો છે.