હોસ્પિટલમાં બાળકોને ભરતી કરવાની જગ્યા નહોતી એટલે કલેકટરે પોતાના બંગલામાં ઇલાજ શરૂ કરાવ્યો
ભોપાલ, તા.૨૦: મધ્યપ્રદેશના સીધી જિલ્લામાં એનિમિયા ભગાવો અભિયાન દસ્તક ચાલી રહ્યું છે ત્યારે મેડિકલ ઓફિસરોને કુલ ૮૩૦ એમિનિયા પીડિત બાળકો મળ્યાં હતાં. જોકે છેલ્લે જયારે ૧૦૦થી વધુ એનિમિયાના બાળકો જિલ્લા હોસ્પિટલ પહોંચ્યા ત્યારે હોસ્પિટલમાં તેમને રાખવાની જગ્યા નહોતી. સ્વાસ્થ્ય અધિકારીઓએ આ વાતની માહિતી કલેકટર અભિષેક સિંહને આપી. હોસ્પિટલમાં જગ્યા ન હોવાથી કલેકટરે આવાસ પર બોલાવી લીધા અને ત્યાં જ સારવાર શરૂ કરાવી દીધી.ે ત્યાં દરદીઓના રહેવા અને ખાવાપીવાની વ્યવસ્થા પણ કરાવી દીધી. ગંભીર રીતે પાંડુરોગ ધરાવતા બાળકોને લોહી ચડાવવામાં આવશે અને બાકીના દરદીઓને દવાઓ આપીને મોનિટર કરવામાં આવશે. બે દિવસના દસ્તક અભિયાન દરમ્યાન ૮૩૦ બાળકોને સારવાર અપાઇ છે. લગભગ ૩૦ બાળકોને બ્લડ-ટ્રાન્ફયુઝન આપવામાં આવ્યું છે અને બાકીના લોકોને સારવાર બાદ ઘરે મોકલી દેવામાં આવ્યા છે. આ ઘટના માટે મધ્ય પ્રદેશના મુખ્ય પ્રધાન કમલનાથે ટ્વીટ કરીને કલેકટરના વખાણ કર્યા છે.