મુખ્ય સમાચાર
News of Saturday, 20th July 2019

હું સોનભદ્ર જઇશ અને પીડીતોને મળીશઃ પ્રિયંકા ગાંધી

પ્રિયંકા અડગઃ રોકવા માટે ૩ એએસપી, ૫ સીઓ અને ૧૨ થાનેદાર તૈનાત

નવી દિલ્હી, તા.૨૦: ઉત્ત્।ર પ્રદેશના સોનભદ્રમાં થયેલા નરસંહાર બાદ પીડિતોના પરિવારોને મળવા જઈ રહેલા કોંગ્રેસના યુપી પ્રભારી પ્રિયંકા ગાંધી વાડ્રાને ત્યાં જતા પોલીસે રોકી દીધા છે. તેમને મિર્ઝાપુર અને વારાણસીની સરહદ પર રોકવામાં આવ્યાં છે. નારાજ પ્રિયંકા ઙ્ગગાંધી સમર્થકો સાથે નારાયણપુરમાં ધરણા પર બેસી ગયા હતાં. પોલીસે તેમને ધરણા પર બેસતા રોકયાં અને પછી તેમને પોતાની સાથે ચુનારના ગેસ્ટ હાઉસ લઈને ગઈ.  સમાચાર એજન્સી એએનઆઈ મુજબ પ્રિયંકા ગાંધીએ પોતાને અટકાયતમાં લીધા હોવાની વાત કરી છે. જો કે બીજી બાજુ ડીજીપી ઓપી સિંહે પ્રિયંકા ગાંધીને અટકાયતમાં લીધા હોવાની વાતનો ઈન્કાર કર્યો છે. તેમણે કહ્યું કે પ્રિયંકાને ફકત સોનભદ્ર જતા રોકવામાં આવ્યાં છે. અત્રે જણાવવાનું કે સોનભદ્રમાં જમીન વિવાદમાં ૧૦ લોકોની હત્યા થઈ હતી.

મિર્ઝાપુરના ચુનાર ગેસ્ટ હાઉસમાં પણ પ્રિયંકા ગાંધી કોંગ્રેસ કાર્યકરો સાથે ધરણા પર બેસી ગયા છે. તેમનું કહેવું છે કે તેઓ સોનભદ્ર જરૂર જશે અને ત્યાં ઘટનાના પીડિતોને પણ મળશે. આ અગાઉ પ્રિયંકા ગાંધી વાડ્રાએ સોનભદ્ર ઘટનામાં ઘાયલ લોકોને બીએચયુ ટ્રોમા સેન્ટરમાં જઈને હાલચાલ પૂછ્યા હતાં.

પ્રિયંકા ગાંધીના કાફલાને પોલીસે જયારે રોકયો તો પ્રિયંકા ગાંધીએ કહ્યું કે 'પોલીસ અમને કયાં લઈ જાય છે તે અમને ખબર નથી.' આ અગાઉ પણ પ્રિયંકા ગાંધી વાડ્રાએ સોનભદ્ર ઘટનામાં ઘાયલ લોકોના હોસ્પિટલમાં જઈને હાલચાલ જાણવાની ઈચ્છા વ્યકત કરી હતી. અત્રે જણાવવાનું કે સોનભદ્રમાં જમીન વિવાદમાં ૧૦ લોકોની હત્યા થઈ હતી. પ્રશાસનની તરફથી સોનભદ્રમાં કલમ ૧૪૪ લગાવવામાં આવી છે. જો કે કોંગ્રેસ કાર્યકરો હજુ પણ નારાયણપુરમાં ધરણા પર બેઠા છે.

પ્રિયંકા ગાંધીએ કહ્યું કે પ્રશાસન મને પીડીતોને મળતા રોકી રહ્યું છે. યોગી સરકાર ગમે તે કરે પરંતુ અમે ઝૂકીશું નહીં. તેમણે કહ્યું કે અમે ફકત સોનભદ્ર જઈને ત્યાં ઘટનાના પીડિતોના પરિવારોને મળવા માંગતા હતાં. મેં ફકત ૪ લોકોને મારી સાથે લઈ જવાની વાત કરી હતી. પરંતુ પ્રશાસન અમને ત્યાં જતા રોકી રહ્યું છે. તેમણે અમને જણાવવું પડશે કે આખરે તેઓ અમને સોનભદ્ર જતા કેમ રોકી રહ્યાં છે.ઙ્ગ

આ બાજુ સોનભદ્ર નરસંહારમાં ૧૦ લોકોની હત્યાની ઘટના પર સીએમ યોગી આદિત્યનાથે ઊંડુ દુઃખ વ્યકત કર્યું છે. તેમણે આ દ્યટનાને દુર્ભાગ્યપૂર્ણ ગણાવી છે. તેમણે કહ્યું કે દોષિતો વિરુદ્ઘ કડક કાર્યવાહી કરવામાં આવશે. સીએમ યોગીએ આ ઘટના માટે સીધી રીતે કોંગ્રેસને જવાબદાર ઠેરવી. તેમણે કહ્યું કે આ ઘટનાનો પાયો ૧૯૫૫માં જ પડી ગયો હતો. તે સમયે કોંગ્રેસની સરકાર હતી. સીએમ યોગી આદિત્યનાથે કહ્યું કે ઘટનાની કાર્યવાહીના તરત આદેશ આપી દેવાયા છે અને બે સભ્યની કમિટી પણ બનાવવામાં આવી છે. જેમણે ઘટનાના ૨૪ કલાકની અંદર રિપોર્ટ સોંપ્યો છે.

(11:15 am IST)