પ્રજ્ઞા ઠાકુરની અરજીને ખાસ કોર્ટે અંતે ફગાવી
હાજર થવાની છુટ નહીં મળે
મુંબઈ, તા.૨૦ : મુંબઇ સ્થિત ખાસ એનઆઈએ કોર્ટે ભાજપના સાંસદ પ્રજ્ઞા ઠાકુરની એ અરજીને ફગાવી દીધી છે જેમાં તેઓએ દરેક સત્તામાં કોર્ટમાં ઉપસ્થિતિ આપવાના નિયમમાં છુટછાટની માંગ કરી હતી. પ્રજ્ઞા ઠાકુર માલેગાંવ બ્લાસ્ટના મામલામાં આરોપી તરીકે છે. પ્રજ્ઞા ઠાકુરે પોતાની અરજીમાં કહ્યું હતું કે, તેઓ સાંસદ છે જેથી તેમને સંસદમાં દરેક દિવસે ઉપસ્થિત થવાની જરૂર હોય છે. આવી સ્થિતિમાં તેમને ખાસ એનઆઈ કોર્ટમાં દરેક સપ્તાહમાં ઉપસ્થિત થવાને લઇને નિયમોમાં રાહત આપવામાં આવે તે જરૂરી છે. જો કે, કોર્ટે તેમની આ દલીલને ફગાવી દીધી હતી. જો કે, કોર્ટે આજે તેમને કોર્ટમાં ઉપસ્થિત થવાથી મુક્તિ આપી હતી. આ પહેલા છઠ્ઠી જૂનના દિવસે પણ પ્રજ્ઞા ઠાકુર ખરાબ આરોગ્યનો હવાલો આપીને કોર્ટમાં ઉપસ્થિત થયા ન હતા. પ્રજ્ઞા ઠાકુરે પોતાની અરજીમાં એમ પણ કહ્યું હતું કે, સંસદની કાર્યવાહીમાં તેમની હાજરી ખુબ જરૂરી બની ગઈ છે. એનઆઈએ કોર્ટે બ્લાસ્ટના તમામ આરોપીઓને સપ્તાહમાં ઓછામાં ઓછા એક વખત કોર્ટમાં ઉપસ્થિત થવા માટે આદેશ કર્યો હતો. પ્રજ્ઞા ઠાકુર પણ માલેગાંવ બ્લાસ્ટના મામલામાં આરોપી તરીકે છે પરંતુ હાલ આરોગ્યના કારણે જામીન પર છે.