મુખ્ય સમાચાર
News of Monday, 20th May 2019

કોંગ્રેસનો દાવો

૨૩મીની રાહ જુવો : અમે બધાને ચોંકાવશું

નવી દિલ્હી તા. ૨૦ : તા. ૧૯ મે ગઈકાલે છેલ્લા તબક્કાના મતદાન બાદ તમામ એકિઝટ પોલ અને સર્વે એજન્સીઓના પરિણામમાં ભાજપ અને તેના સાથી પક્ષોની NDA સરકાર ખૂબ મોટી બહુમતી સાથે સરકાર બનાવશે તેવી આગાહી થતા જ કોંગ્રેસે તમામ એકિઝટ પોલને નકારી કાઢ્યા છે. કોંગ્રેસનું કહેવું છે કે ભાજપ અને શાસક NDAને સાચુ સરપ્રાઇઝ તો જયારે રિઝલ્ટ આવશે તે દિવસે મળશે. રાજકીય વર્તુળોમાં પણ ચર્ચા છે કે ભાજપને સત્તામાં આવતા રોકવા માટે જો ખૂબ જ પાતળી શકયતા દેખાશે તો પણ તમામ વિરોધી પક્ષો એક થઈને તે શકયતાના આધારે આગળ વધવા તૈયારી કરી રહ્યા છે.

ભલે, તમામ એકિઝટ પોલમાં NDA જીતશે તેવા સ્પષ્ટ પરિણામ આવ્યા હોય પરંતુ કોંગ્રેસ પ્રવકતા રાજીવ ગૌવડાએ કહ્યું કે, 'મહેરબાની કરીને ૨૩ મે સુધી રાહ જોઈ લો, અમે જરુર તમને બધાને સરપ્રાઇઝ આપીશું. તમામ વોટ શેરનું બેઠક દીઠ શેરિંગ ગણીને અનુમાન લગાવવું ખૂબ જ અઘરું કામ છે. આટલું જલ્દી કંઈ જ બોલી શકાય નહીં. અને આમ પણ દેશમાં એક જાતના ડરનું વાતાવરણ છે જેથી લોકો પણ ખુલીને પોતાનો મત જણાવશે નહીં.'

જયારે ભાજપ અને મોદીના પ્રખર વિરોધી તરીકે હાલના સમયમાં ઉભરી આવેલ તૃણમૂલ કોંગ્રેસના સુપ્રીમો મમતા બેનર્જીએ કહ્યું કે, 'તમામ એકિઝટ પોલ ખોટા અને ગોસિપ માત્ર છે. આ રીતે ખોટા એકિઝટ પોલ લાવીને હજારો EVMમાં ગરબડ દ્વારા કે પછી EVM રીપ્લેસ કરીને સમગ્ર પરિણામ ઉથલાવી નાખવાનો આ ગેમ પ્લાન છે.'

પરંતુ એકિઝટ પોલના પરીણામોથી વિપક્ષ ભલે જાતભાતની નિવેદનબાજી કરતો હોય પરંતુ ભાજપની જીત તરફ ઇશારો કરતા એકિઝટ પોલ જોઈને વિપક્ષ ભવિષ્યની શંકાને લઈને કેટલીક હદ સુધી ગભરાયેલ છે તો સાથે સાથે કોંગ્રેસ ૨૦૦૪ના પુનરાવર્તનની આશા સેવી રહ્યું છે. જેમાં તમામ એકિઝટ પોલે NDA સરકાર બનવા તરફ ઇશારો કર્યો હતો પરંતુ કોંગ્રેસ એકલી સૌથી મોટી પાર્ટી તરીકે ઉભરી આવી હતી.

સંભવિત પરિણામો અંગે કેટલાક અંદરના લોકોએ પણ ખોટો મત જણાવ્યો હોઈ શકે છે. કેમ કે મોટાભાગના ચૂંટણી પછીના અનુમાન ઇન હાઉસ સર્વેમાં જે પોઈન્ટ સર્વે કરનારને સાચા લાગે તેના આધારે પરીણામ પોઇન્ટ આઉટ કરવામાં આવતા હોય છે, જેમાં કોંગ્રેસ ખૂબ જ ખરાબ છે જેમ કે ગત ડિસેમ્બરમાં જે રાજયોમાં તેણે ભાજપને હરાવ્યું હતું ત્યાં પણ કોંગ્રેસ હારતું હોય તેવા ચિત્રો સ્પષ્ટ જોઈ શકાય છે. કોંગ્રેસના વ્યૂહરચનાકારોનું માનવું છે કે, જો NDA ૨૩૦ના આંકડાને પાર કરી લેશે તો પછી તેને સરકાર બનાવવાથી રોકવું અશકય છે. પણ જો તેની પાસે ૨૩૦થી ઓછી બેઠક હોય ત્યારે બધો આધાર કોંગ્રેસ બીજા કેટલા સાંસદોને પોતાના પક્ષે લઈ શકે છે તે જોવાનો છે. જો કોંગ્રેસ એકલાને ૧૦૦થી ઓછી બેઠકો મળી તો ગઠબંધન કરીને પણ સ્થાનિક રાજકીય પાર્ટીઓ પાસેથી આગેવાની પોતાના હાથમાં લેવાનું કોંગ્રેસ માટે એક ક્ષોભજનક સ્થિતિમાં લાવશે.

(10:27 am IST)