મુખ્ય સમાચાર
News of Tuesday, 20th April 2021

છતીસગઢના દંતેવાડા જીલ્લામાં પાંચ લાખના ઇનામી નક્સલીને ઠાર કરાયો

નિલવાયાના જંગલોમાં ડીઆરજી જવાનો અને નક્સલવાદીઓ વચ્ચે અથડામણમાં ઠાર મરાયો

છત્તીસગઢ ના નક્સલ પ્રભાવિત દંતેવાડા જિલ્લામાં મંગળવારે સવારે થયેલી અથડામણ માં, સુરક્ષા દળના જવાનોએ પાંચ લાખ ના ઇનામી નક્સલી ને મોત ને ઘાટ ઉતાર્યો હતો. દાંતેવાડાના એસપી અભિષેક પલ્લવ એ ઘટનાની પુષ્ટિ કરી છે.

ડો. અભિષેક પલ્લવ એ જણાવ્યું હતું કે, મંગળવારે વહેલી સવારે જિલ્લાના અરનપુર પોલીસ સ્ટેશન વિસ્તારમાં નિલવાયાના જંગલોમાં ડીઆરજી જવાનો અને નક્સલવાદીઓ વચ્ચે જબરદસ્ત મુકાબલો થયો હતો. આ અથડામણ માં સૈનિકોએ પાંચ લાખ રૂપિયાના ઇનામી નક્સલી ને મોત ને ઘાટ ઉતાર્યો છે. નક્સલવાદીની ઓળખ નીલાવાયાના મલ્લપરામાં રહેતા કોસા મુચે તરીકે થઈ છે.

અથડામણ બાદ, શોધખોળ દરમિયાન જવાનોએ એક નક્સલવાદીનો મૃતદેહ, નવ-મીમીની પિસ્તોલ, એક દેશી ભરમાર, ત્રણ કિલોગ્રામ વજનનો આઈઈડી બોમ્બ, પિસ્તોલ, દવાઓ અને અન્ય સામગ્રી મળી આવી છે. પોલીસે દાવો કર્યો છે કે, આ અથડામણ માં છ થી વધુ નક્સલી માર્યા ગયા છે અથવા ઘાયલ થયા છે.

માર્યા ગયેલા નક્સલવાદી છેલ્લા 15 વર્ષથી નક્સલવાદી સંગઠનમાં કાર્યરત હતો. તે મલંગીર વિસ્તાર સમિતિનો સભ્ય હતો અને નક્સલવાદીઓની સૈન્ય ગુપ્તચર પ્રભારી પણ હતો. આ અંગે સરકારે પાંચ લાખ રૂપિયાનું ઇનામ જાહેર કર્યું હતું. કોસા મુચે વિરુદ્ધ વિવિધ પોલીસ મથકોમાં 15 થી વધુ નક્સલી કેસ નોંધાયા હતા.

(11:40 am IST)