નાના ચોકીદાર પણ કામ આવશે નહીં : માયાવતી
આઝમ ખાનની રેલીમાં માયાવતીના પ્રહાર
રામપુર,તા.૨૦ : બહુજન સમાજ પાર્ટીના અધ્યક્ષ માયાવતીએ સમાજવાદી પાર્ટી અને બહુજન સમાજ પાર્ટી ગઠબંધનમાં રામપુર લોકસભા સીટ પરથી સમાજવાદી પાર્ટીના ઉમેદવાર આઝમ ખાન માટે પ્રચાર માટે પહોંચ્યા બાદ ભાજપ અને કોંગ્રેસ પાર્ટી ઉપર પ્રહાર કર્યા હતા. કોંગ્રેસ અને ભાજપ પર પ્રહાર કરતા માયાવતીએ સંકેતોમાં ભાજપના ઉમેદવાર જયાપ્રદા ઉપર પણ પ્રહાર કર્યા હતા. માયાવતીએ કહ્યું હતું કે, રામપુર લોકસભા સીટમાં પણ ભાજપના કેટલાક ચોકીદાર ફરી રહ્યા છે પરંતુ તેમના આ તમામ ચોકીદાર કેટલી પણ તાકાત લગાવી લેશે તો પણ સત્તામાં પરત આવનાર નથી. મંચ ઉપર સપાના વડા અખિલેશ યાદવ પણ ઉપસ્થિત રહ્યા હતા. રામપુર લોકસભા સીટ ઉપર બોલિવુડની લોકપ્રિય અભિનેત્રી જયાપ્રદા અને આઝમ ખાન વચ્ચે સ્પર્ધા છે. ગઠબંધનની સાથે માયાના નારામાં જયભીમ, જયભારત અને હવે જય લોહિયા પણ સામેલ થયા છે.