આઝમ ખાનના શરમવગરના નિવેદનો હજુ જારી રહ્યા
માયાવતી-અખિલેશ રામપુરમાં પહોંચ્યા
રામપુર, તા. ૨૦ : નિવેદનોના પરિણામ સ્વરુપે હંમેશા વિવાદમાં રહેનાર આઝમ ખાન પ્રતિબંધ મુકવામાં આવ્યા બાદ પણ શરમવગરના નિવેદનો કરવાનું જારી રાખી રહ્યા છે. સમાજવાદી પાર્ટી-બસપા ગઠબંધનમાં રામપુર બેઠકના ઉમેદવાર આઝમ ખાન હજુ પણ આડેધડ નિવેદન કરી રહ્યા છે. આજે માયાવતી અને અખિલેશ આઝમખાનના સમર્થનમાં રામપુરમાં રેલી યોજવા માટે પહોંચ્યા હતા. અહીં રેલી દરમિયાન આઝમખાને ફરી એકવાર ભાષાની મર્યાદા તોડી પાડી હતી.
આઝમ ખાને અહીં વડાપ્રધાન મોદી અને મુખ્યમંત્રી યોગી આદિત્યનાથ સામે વાંધાજનક નિવેદન કર્યા હતા. આઝમ ખાને કહ્યું હતું કે, છેલ્લા પાંચ વર્ષ દરમિયાન ભારતના ૧૨૫ કરોડ લોકોએ ખૂનના આંસુ રડ્યા છે. મજુરો રડી રહ્યા છે. ખેડૂતો રડી રહ્યા છે. માતા અને પુત્રીઓ રડી રહી છે. હવે ઇંતકામ લેવાનો સમય આવી ગયો છે. સમાજવાદી પાર્ટીના અધ્યક્ષ અખિલેશ અને માયાવતીની સમક્ષ આઝમ ખાને ક્હયું હતું કે, લોકો સાથે વિશ્વાસઘાત થયો છે. પાંચ વર્ષ નુકસાનમાં ગયા છે. ઇન્સાનિયતના કાતિલ લોકો સામે બદલો લેવાનો સમય આવી ગયો છે. જે ઝુલ્મની સામે લડશે નહીં તે પણ ઝાલિમ તરીકે છે.