મુખ્ય સમાચાર
News of Saturday, 20th April 2019

બાલાકોટ એર સ્ટ્રાઇક પ્રશ્ને નિવેદન પર શામ પિત્રોડા મક્કમ

નવી દિલ્હી, તા. ૨૦ : કોંગ્રેસની મેનિફેસ્ટો કમિટિના સભ્ય શામ પિત્રોડાએ બાલાકોટ એર સ્ટ્રાઇક પર આપવામાં આવેલા વિવાદાસ્પદ નિવેદનેન લઇને ફરી એકવાર નિવેદન કર્યું હતું અને કહ્યું હતું કે, બાલાકોટ એરસ્ટ્રાઇકને લઇને તેઓ પોતાના વલણ ઉપર મક્કમ છે. સામ પિત્રોડાએ કહ્યું હતું કે, તેઓએ જે વાત કરી હતી તે સાચી વાત કરી હતી. થોડાક સપ્તાહ પહેલા કરવામાં આવેલા નિવેદન ઉપર તેઓ મક્કમ છે. ત્યારબાદ વડાપ્રધાને ટ્વિટ કરીને આ અંગે માહિતી આપી હતી. ભાજપના વડાએ આક્ષેપ કરતા કહ્યું હતું કે, કોંગ્રેસી નેતા વારંવાર આ પ્રકારના પ્રશ્નો કરી રહ્યા છે. રાહુલ ગાંધીના ખુબ જ નજીકના ગણાતા શામ પિત્રોડા તરફથી કરવામાં આવેલું આ નિવેદન કોંગ્રેસ માટે વધારે મુશ્કેલી ઉભી કરી શકે છે. ભાજપ દ્વારા તેમની આ ટિપ્પણીને ફરી એકવાર મુદ્દો બનાવી શકે છે. પિત્રોડાએ કહ્યું છે કે, તેઓએ માત્ર એક પ્રશ્ન કર્યો હતો અને આનો તેમને અધિકાર પણ છે. એક પ્રશ્ન કરવાથી બિનરાષ્ટ્રવાદી વ્યક્તિ બની જતી નથી.

 પિત્રોડાએ એમ પણ કહ્યું હતું કે, ભારતીય એરફોર્સના જવાનોએ હુમલા કરીને ૩૦૦ લોકોને મોતને ઘાટ ઉતારી દીધા છે તો તે યોગ્ય છે. આના માટે કોઇ તથ્ય અથવા પુરાવા આપી શકાય છે. પિત્રોડાએ કહ્યું હતું કે, ભારતના લોકોને આ બાબત જાણવાનો અધિકાર છે કે, એરફોર્સે પાકિસ્તાનમાં કેટલું નુકસાન કર્યું હતું અને આનાથી પાકિસ્તાનને શું અસર થઇ છે. ન્યુયોર્ક ટાઈમ્સમાં તેઓ અહેવાલ વાંચી ચુક્યા છે જેથી તેઓ વધારે માહિતી મેળવવા માટે ઇચ્છુક છે. શું હુમલા કરવામાં આવ્યા હતા, શું ૩૦૦ લોકો માર્યા ગયા હતા આ તમામ માહિતી મેળવવાનો ભારતીય નાગરિકોને અધિકાર છે. તેવો સવાલ કરે તેવા પણ અધિકાર ધરાવે છે. રાષ્ટ્રવાદી નહીં હોવાના કારણે પ્રશ્નો ઉઠાવવાની બાબત પણ અયોગ્ય છે. જો ૩૦૦ લોકો માર્યા ગયા છે તો વૈશ્વિક મિડિયામાં કેમ આવું કહેવામાં આવી રહ્યું છે કે, કોઇનું મોત થયું નથી.

(7:48 pm IST)