ભારે હોબાળા બાદ હેમંત કરકરે પર આપેલું નિવેદન સાધ્વી પ્રજ્ઞા સિંહે પરત લઇ લીધું
સાધ્વી પ્રજ્ઞાએ કહ્યું આ નિવેદનને કારણે દેશની અંદર અને બહારના શત્રુઓ ખુશ થઈ રહ્યા છે
ભોપાલ લોકસભાની બેઠક પરથી ભાજપનાં ઉમેદવાર સાધ્વી પ્રજ્ઞા સિંહ ઠાકુરે દિવંગત મુંબઈ એટીએસના વડા હેમંત કરકરે પર આપેલા નિવેદનને પરત લઈ લીધું છે.
એક ચૂંટણીસભા દરમિયાન સાધ્વીએ કહ્યું હતું કે તેમના શ્રાપના કારણે હેમંત કરકરેનું મૃત્યુ થયું હતું. નિવેદન પરત લેતાં તેમણે કહ્યું કે આ તેમની વ્યક્તિગત પીડા હતી, જે તેમણે રજૂ કરી હતી.
તેમણે એવું પણ કહ્યું કે તેમના આ નિવેદનને કારણે દેશની અંદર અને બહારના શત્રુઓ ખુશ થઈ રહ્યા છે એટલે તેઓ પોતાનું નિવેદન પરત લઈ રહ્યાં છે. હેમંત કરકરે મહારાષ્ટ્ર એટીએસના પ્રમખ હતા અને વર્ષ 2008માં મુંબઈ પર કરાયેલા હુમલામાં તેમનું મૃત્યુ નીપજ્યું હતું.
વીરતા માટે તેમને વર્ષ 2009માં અશોક ચક્ર એનાયત થયું હતું.કરકરેએ વર્ષ 2006માં માલેગાંવમાં થયેલા બૉમ્બ વિસ્ફોટની તપાસ કરી હતી અને આ મામલે સાધ્વી પ્રજ્ઞા સિંહની પૂછપરછ પણ કરી હતી.
માંલેગાવ વિસ્ફોટનાં આરોપી પ્રજ્ઞા સિંહ હાલમાં જમીન પર જેલમુક્ત છે અને ભાજપે તેમને ભોપાલની લોકસભા બેઠક પરથી ઉમેદવાદર જાહેર કર્યાં છે.