ચીન દ્વારા ભારતને સંયુકત યુધ્ધ - અભ્યાસની ઓફર
ચીનના વલણમાં ગજબ પરિવર્તન
બીજિંગ તા. ૨૦ : ડોકલામ સૈન્ય ગતિરોધ બાદ ચીને પોતાના તેવરોમાં નરમાશ દાખવતા ભારતીય સેના સાથે યુદ્ઘાભ્યાસનો પ્રસ્તાવ મોકલ્યો છે.
આ યુદ્ઘાભ્યાસને ચીને ડોકલામ સૈન્ય ગતિરોધ પહેલા કોઈપણ કારણ જણાવ્યા વગર સ્થગિત કર્યો હતો. પરંતુ હવે સંરક્ષણ પ્રધાન નિર્મલા સીતારમનના ચીન પ્રવાસ પહેલા બીજિંગનું વલણ પરિવર્તનના સંકેત આપી રહ્યું છે. આગામી સપ્તાહે સીતારમન બીજિંગની મુલાકાતે જવાના છે. ચીને પોતાના સત્તાવાર પ્રસ્તાવમાં કહ્યું છે કે બંને દેશોની સેનાઓ આ વર્ષના આખર સુધીમાં કોઈપણ સમયગાળામાં સંયુકત સૈન્યાભ્યાસ કરી શકે છે.
૨૪ એપ્રિલે સંરક્ષણ પ્રધાન નિર્મલા સીતારમન શાંઘાઈ કોઓપરેશન ઓર્ગેનાઈઝેશનમાં ભાગ લેવા માટે બીજિંગમાં હશે. આના સંદર્ભે તેઓ ચીનના સંરક્ષણ પ્રધાન વેઈ ફેંધે સાથે પણ વાતચીત કરે તેવી શકયતા છે. એસસીઓના વિદેશ પ્રધાનોની બેઠકમાં ભાગ લેવા માટે સુષ્મા સ્વરાજ પણ બીજિંગ જવાના છે.(૨૧.૨૪)