અસ્સી ઘાટ પર પ્રિયંકા દ્વારા ગંગા આરતી કરવામાં આવી
કાશી વિશ્વનાથ મંદિરમાં ખાસ પૂજા-અર્ચના કરી : જયહિન્દના નારા લગાવીને ભાજપ પર તીવ્ર પ્રહારો કર્યા
વારાણસી, તા. ૨૦ : કોંગ્રેસના મહાસચિવ પ્રિયંકા ગાંધી આજે પ્રયાગરાજમાં મનૈયા ઘાટથી વારાણસીના અસ્સી ઘાટ ઉપર પહોંચ્યા હતા. બોટ યાત્રા ઉપર પ્રિયંકા ગાંધી પહોંચ્યા હતા. સમર્થકો અને કોંગ્રેસની મોટી સંખ્યામાં ઉપસ્થિતિ વચ્ચે પ્રિયંકાએ અસ્સી ઘાટ પહોંચીને ભાજપ ઉપર પ્રહાર કર્યા હતા. પ્રિયંકાએ વારાણસીમાં પૂર્વ વડાપ્રધાન લાલબહાદુર શાસ્ત્રીની પ્રતિમા ઉપર પુષ્પાંજલિ અર્પણ કરી હતી. ત્યારબાદ ભાજપના કાર્યકરોએ ગંગાજળથી શુદ્ધિકરણ કર્યું હતું. ત્યારબાદ કોંગ્રેસ અને ભાજપના કાર્યકરો વચ્ચે ખેંચતાણ પણ જોવા મળી હતી. પ્રિયંકાના સમર્થકોએ જોરદાર હોબાળો પણ મચાવ્યો હતો. પ્રિયંકાએ જયહિન્દના નારા પણ લગાવ્યા હતા. પ્રિયંકાએ પોતાના ભાષણમાં કહ્યું હતું કે, વારાણસીની પ્રજા પ્રેમથી તેમનું સ્વાગત કરે છે. વારાણસીથી દેશને નકારાત્મક, ખેડૂત વિરોધી, જનવિરોધી અને મહિલા વિરોધી સરકાર બનાવવા અપીલ પણ કરવામાં આવી હતી. છેલ્લા પાંચ વર્ષના ગાળામાં દેશ અને ઉત્તરપ્રદેશમાં સ્થિતિ શું બની છે તેને લઇને લોકો જોઇ ચુક્યા છે. તેમણે એમ પણ કહ્યું હતું કે, જ્યારે રાજનીતિનો ઇરાદો ખોટો હોય છે ત્યારે પરિણામ શું આવે છે. રાજનીતિનો ઇરાદો હકીકતમાં સેવાનો હોય છે. અસ્સી ઘાટ બાદ પ્રિયંકાએ દશાસ્વમેઘ ઘાટ ઉપર આરતી પણ કરી હતી. પ્રિયંકા ગાંધીએ કહ્યું હતું કે, માછીમારો માટે એક અલગ મંત્રાલયની રચના તેમની સરકાર આવશે તો કરવામાં આવશે. ખેડૂતો હજુ પણ પરેશાન થયેલા છે. બે કરોડ લોકોને રોજગારી આપવાની વાત કરવામાં આવી હતી પરંતુ હજુ સુધી કોઇને પણ રોજગારી મળી નથી. વારાણસીમાં પણ લોકોને રોજગારી આપવામાં આવી નથી.