વડાપ્રધાન આજે રપ લાખ ચોકીદારોને મળશે ઓડીયો દ્વારા
ચોકીદાર બનશે ભાજપાનું મુખ્ય હથિયાર
નવી દિલ્હી, તા. ર૦ : ભાજપાની ચૂંટણી ઇનીંગ 'મેં ભી ચોકીદાર' કેમ્પેઇન પર ખેલશે. પક્ષે તેને પોતાની ચૂંટણી થીમ બનાવવાનો નિર્ણય કરી લીધો છે. વડાપ્રધાન આજે ઓડીયોબ્રીજના માધ્યમથી દેશના લગભગ રપ લાખ ચોકીદારોને સંબોધન કરશે અને તેમની સાથે હોળીના રંગે શેર કરશે. આ ઉપરાંત ૩૧ માર્ચે વિડીયો કોન્ફરન્સ દ્વારા પ૦૦ સ્થાનો પર 'મેંભી ચોકીદાર' આંદોલનને સમર્થન આપનારા લોકો સાથે વાત કરશે.
કેન્દ્રીય પ્રધાન રવિશંકર પ્રસાદે મંગળવારે પક્ષના ચૂંટણી અભિયાનની વાત કરી હતી. તેમણે રાહુલ ગાંધી પર વાર કરતા કહ્યું કે જેઓ જામીન પર છે તેમને મૈંભી ચોકીદારહું
કેમ્પેનથી તકલીફ છે. જેમનો પરિવાર અને સંપતિ જોખમમાં છે તેમને વાંધો છે, જે લોકો પરિવાર સહિત કાયદેસરની કાર્યવાહી ભોગવી રહ્યા છે, જેમની પાસે છુપાવવા માટે કંઇક છે તેમને તકલીફ છે. પ્રસાદે કહ્યું કે તે લોકો કહે છે કે ચોકીદાર અમીરો માટે હોય છે, ગરીબો માટે નહીં. જયારે તેઓ સતા પર હતા ત્યારે જનતાના ૧ર લાખ કરોડ લૂંટયા છે તો ચોકીદારની જરૂર કોને છે તે કહેવાની જરૂર છે ખરી.
ભાજપા નેતાએ કહ્યું કે મૈંભી ચોકીદાર ભલે આજે કેમ્પેન તરીકે ચાલી રહ્યું હોય પણ આ વાત મોદીએ ર૦૧૪માં જ કહી હતી. તેમણે દાવો કરતા કહ્યું કે આ કેમ્પેન એક દિવસ વૈશ્વિક ટ્રેંડ હતો. ર૦ લાખ લોકોએ તેને ટવીટ કર્યું હતું. એક કરોડ લોકોએ સોશ્યલ મીડીયા અને નમો એપ પર ચોકીદાર થવાના શપથ લીધા છે.