મુંબઈમાં અમિતાભ બચ્ચનના જલસા બંગલાની સુરક્ષા વધારાઈ
પેટ્રોલ- ડીઝલના ભાવ વધારા મામલે ચૂપ રહેવા બદલ કોંગ્રેસ નેતાએ આપી હતી કાળા ઝંડા બતાવવાની ધમકી
મુંબઈ : બોલિવૂડ મહાનાયક અમિતાભ બચ્ચનના મુંબઈમાં આવેલા જલસા બંગલાની સુરક્ષા વધારી દેવામાં આવી છે. અમિતાભ બચ્ચનના બંગલાની આ સુરક્ષા મહારાષ્ટ્ર કોંગ્રેસના ચીફ નાના પટોલેએ આપેલા એક નિવેદન બાદ વધારવામાં આવી છે.
નાના પટોલેએ શનિવારના રોજ કહ્યુ હતુ કે, હું અક્ષય કુમાર અને અમિતાભ બચ્ચન વિરુદ્ધ નહીં પણ તેમના કામની વિરુદ્ધમાં બોલી રહ્યો છું. તેઓ અસલી હિરો નથી. જો હોત તો લોકોના દુખના સમયે તેમની સાથે ઉભા રહે.
નાના પટોલે કહ્યુ હતુ કે, જ્યારે પણ તેમની ફિલ્મો રિલીઝ થશે, ત્યારે તેઓ જ્યાં પણ દેખાશે તેમને કાળા ઝંડા બતાવામાં આવશે. અમે લોકતાંત્રિક રીતે તેનુ પાલન કરીશું. અમે ગોડસેવાળા નથી, પણ ગાંધીવાળા છીએ નાના પટોલેનો આ વિરોધ પેટ્રોલ અને ડીઝલના વધતા ભાવોને લઈને છે.
તેમણે વધુમાં જણાવ્યું હતું કે, અમિતાભ બચ્ચન અને અક્ષય કુમાર જેવા કલાકારોએ મનમોહન સિંહના નેતૃત્વવાળી સરકાર દરમિયાન પોતાના ટ્વિટના માધ્યમથી ઈંધણના ભાવ વધારાની ટિકા કરી હતી. મહારાષ્ટ્ર કોંગ્રેસના પ્રમુખે સવાલ કર્યો હતો કે, હાલમાં પેટ્રોલ અને ડીઝલના ભાવ આસમાને છે, તેમ છતાં આ કલાકારો કેમ ચૂપ છે.