મુખ્ય સમાચાર
News of Saturday, 20th February 2021

ગૃહમંત્રી અમિતભાઇ શાહને પશ્ચિમ બંગાળ કોર્ટે મોકલ્યું સમન્સ 22મી સુધીમાં રૂબરૂમાં અથવા તો કોઈ વકીલ દ્વારા હાજર રહેવાનું સમન્સ પાઠવ્યું

પશ્ચિમ બંગાળની કોર્ટે કેન્દ્રીય ગૃહ મંત્રી અમિતભાઈ  શાહને 22 ફેબ્રુઆરી સુધીમાં રૂબરૂમાં અથવા તો કોઈ વકીલ દ્વારા હાજર રહેવાનું સમન્સ પાઠવ્યું છે. ટીએમસી સાંસદ અભિષેક બેનરજીએ દાખલ કરેલા બદનક્ષી કેસમાં ગૃહમંત્રી અમિતભાઈ  શાહને કોર્ટનું તેડુ આવ્યું છે. અમિત શાહે બેનરજીની સામે ભ્રષ્ટાચારના ગંભીર આક્ષેપ કર્યા હતા.


ટીએમસી સાંસદ અભિષેક બેનરજીએ અમિતભાઈ  શાહની સામે બદનીક્ષનો કેસ દાખલ કર્યો હતો અને તેના સંદર્ભમાં કોર્ટે ગૃહમંત્રી અમિતભાઈ  શાહને સમન્સ પાઠવ્યું છે. અમિતભાઈ  શાહ સામેના બદનક્ષી કેસની સુનાવણી કરતા ડેઝિગ્નેટેડ કોર્ટે જણાવ્યું કે ઈન્ડીયન પીનલ કોડની કલમ 500 હેઠળ બદનક્ષી કેસ સંબંધિત કેટલાક સવાલના જવાબ આપવાના હોવાથી અમિતભાઈ  શાહે રુબરુમાં હાજર થવું પડે તેમ છે. અમિત ભાઈ શાહ ઈચ્છે તો કોઈ પ્રતિનિધિ પણ કોર્ટમા મોકલી શકે છે.
11 ઓગસ્ટ 2018 ના દિવસે ભાજપની યુવા સ્વાભિમાન રેલીમાં અમિતભાઈ  શાહે અભિષેક બેનરજીની સામે ભ્રષ્ટાચારના ગંભીર આક્ષેપ કર્યાં હતા. પોતાની સામેના ભ્રષ્ટાચારના આરોપથી ખળભળી ઊઠેલા ટીએમસી સાંસદ અભિષેક બેનરજીએ અમિતભાઈ  શાહની સામે બદનક્ષીનો દાવો માંડ્યો હતો.
બદનક્ષીના દાવામાં બેનરજીએ જણાવ્યું હતું કે કોલકાતા ખાતેની રેલીમાં અમિતભાઈ  શાહે જણાવ્યું હતું કે નારદા, શારદા, રોસ વેલી, સિન્ડીકેટ કરપ્શન, ભત્રીજાનો ભ્રષ્ટાચાર અને મમતાના બીજા ઢગલાબંધ ભ્રષ્ટાચારના આરોપ ગણાવ્યા હતા. અમિતભાઈ  શાહે રેલીમાં કહ્યું હતું કે, બંગાળના ગામના રહેવાશીઓ, શું તમારા ગામમાં પૈસા પહોંચ્યાં છે ? કૃપા કરીને મોટેથી કહો. શું તમારા ગામમાં પૈસા પહોંચ્યા છે? આ પૈસા ક્યાં ગયા ?ક્યાં ?મોદીજીએ મોકલ્યા છે. રુ. 3,59,000 કરોડ ક્યાં ગયા. આ પૈસા ભત્રીજાની ગેંગને મળ્યાં છે.

(12:00 am IST)