'મોદી અંકલ મેરી ખ્વાહિશ હૈ કી આપ પાકિસ્તાન કો મુંહતોડ જવાબ દેના'
સુરતના પુણા વિસ્તારમાં રહેતી એક ૧૦ વર્ષની મનાલી નામની દીકરીએ ૪૪ શહીદોનો બદલો લેવા માટે વડાપ્રધાન નરેન્દ્ર મોદીને પત્ર લખ્યો છે
નવીદિલ્હી, તા.૨૦:- સુરતના પુણા વિસ્તારમાં રહેતી એક ૧૦ વર્ષની મનાલી નામની દીકરીએ ૪૪ શહીદોનો બદલો લેવા માટે વડાપ્રધાન નરેન્દ્ર મોદીને પત્ર લખ્યો છે. જેમાં માંગણી કરી છે કે આતંકીઓ અને પાકિસ્તાનને જડબાતોડ જવાબ આપે. અને તેની બચતના તમામ નાણાં જે પીગી બેંકમાં સાચવ્યા છે. તે શહીદોને આપવાનું નક્કી કર્યું છે. આમ, દેશમાં જયારે ગુસ્સો છે ત્યારે એક ૧૦ વર્ષની બાળકીનો રોષ દ્યણુ કહી જાય છે.
મળતી માહિતી પ્રમાણે સુરતના પુણા વિસ્તારમાં રહેતી ૧૦ વર્ષની મનાલી ઘરે હોમ વર્ક કરતી હતી. ત્યારે મીડિયામાં સીઆરપીએફના ૪૪ શહીદોના સમાચાર ચાલી રહ્યા હતા. શહીદોના પરિવારોની આંખોના આસું મનાલીના મનને પીગળાવી ગયા હતા. તેને મનમાં પ્રથમ સવાલ આવ્યો કે જવાનોએ દેશ માટે જીવ ખોયો છે. તો પાકિસ્તાનને સબક શીખવવા માટે વડા પ્રધાન નરેન્દ્ર મોદીને વાત કરી શકાય કે નહી. જેથી તેણે તેની માતાને વાત કરી અને માતાએ કહ્યું કે વાત કરવી શકય નથી પણ પત્ર લખીને પોતાની વાત જણાવી શકે છે. બસ આ જ વાતનો અમલ મનાલીએ તરત જ કરી દીધો અને નરેન્દ્ર મોદીને પત્ર લખ્યો હતો.
નવાઇની વાત એ છે કે મનાલીમાં ભારે રોષ છે કે જો નરેન્દ્ર મોદી પાકિસ્તાનને જવાબ નહી આપે તો મોટી થઇને મોદી માટે કોઇ દિવસ મત નહી આપે કારણ કે તેને નરેન્દ્ર મોદી પર વિશ્વાસ છે. મોદી તે ૪૪ જેટલા સૈનિકોની શહાદતનો બદલો લેશે અને મનાલી પોતાની તમામ બચત શહીદોને આપવા ઇચ્છે છે.
આમ હાલ સમગ્ર દેશમાં આતંક વિરોધી માહોલ છે ત્યારે નાના બાળકથી માંડીને વૃધ્ધો ઇચ્છી રહ્યા છે કે બસ હવે આતંકવાદને કોઇ પણ હિસાબે ખતમ કરી દો અને કારણ કે પાકિસ્તાન સાથે વાર્તાલાપ કરવાથી કોઇ ઉકેલ જ નથી આવતો ત્યારે હંમેશા મનની વાત કરતા વડાપ્રધાન નરેન્દ્ર મોદીએ પ્રજાની મનની વાત પણ સમજવી જોઇએ.(૨૨.૧૨)