વિરલ રાચ્છનું અદ્ભુત દિગ્દર્શન-સંચાલન અને ડો. રઇશ મણિયાર-મિલિન્દ ગઢવીનું સહ સંચાલન
'મૌજે ગુજરાત' ઇવેન્ટમાં વિરલ રાચ્છ અને મિલીન્દ ગઢવીએ આરંભથી અંત સુધી અદ્દભુત સંચાલનનું કામ સંભાળ્યું હતું. વિરલે દિગ્દર્શન અને સંચાલન તથા મિલીન્દ ગઢવી અને કવિ-હાસ્યકાર શ્રી ડો. રઇશ મણિયારએ સંચાલનમાં થીમ મુજબ શેર-શાયરીઓ અને કથનો રજૂ કરી સૌને જકડી રાખ્યા હતાં. વિરલ રાચ્છ ગુજરાત સરકાર દ્વારા ૨૦૦૭-૦૮માં ગૌરવ પુરસ્કારથી સન્માનિત છે. ઉપરાંત દિગ્દર્શક-અભિનેતા-સંકલનકાર, અનેક એવોર્ડથી સન્માનીત કલાકાર છે. પ્રતિષ્ઠિત ૧૧ ચિત્રલેખા એવોર્ડ, ૩ ટ્રાન્સમીડિયા એવોર્ડ, USAમાં ગ્લોરીયસ ગુજરાતી એવોર્ડ અને અનેક વખત ગુજરાત રાજ્ય સંગીત નાટક અકાદમી દ્વારા શ્રેષ્ઠ દિગ્દર્શન-અભિનેતાના એવોર્ડ, રાષ્ટ્રીય કક્ષાએ ગુજરાતનું પ્રતિનિધિત્વ કરતા સુવર્ણ ચંદ્રકથી સન્માનિત એકમાત્ર દિગ્દર્શક-અભિનેતા છે.
તો નરસિંહ મહેતાની ભૂમિ જુનાગઢમાં જન્મેલ કવિ મિલિન્દ ગઢવી ઉર્દુ અને ગુજરાતી બન્ને ભાષામાં કવિતા કર્મ કરતા સર્જક ઉપરાંત ખુબ જ વિખ્યાત સંચાલક છે. અસ્મિતા પર્વ-૨૦૧૪માં સંચાલન દ્વારા લાખો ગુજરાતીઓમાં લોકપ્રિયતા પ્રાપ્ત કરનાર કવિ-સંચાલક, દેશ-વિદેશમાં અનેક કાર્યક્રમને પોતાની ભાવવહી અને અભ્યાસુ રજુઆતથી અજવાળી ચૂકયા છે. યુનિવર્સિટી અને રાજ્ય કક્ષાએ અનેક વેળાએ કવિતા અને કાવ્ય પાઠમાં વિજેતા થયેલા કવિ મિલિન્દના તાજેતરમાં જ અકિલા ઇન્ડિયા પબ્લીકેશન દ્વારા પ્રકાશિત બે કાવ્ય સંગ્રહ મા. મુખ્યમંત્રી શ્રી વિજયભાઇ રૂપાણી અને પૂ. મોરારીબાપુના વરદ હસ્તે રાજકોટ ખાતે લોકાર્પણ કરવામાં આવ્યા હતા. કવિતા અને સંચાલન ઉપરાંત મિલિન્દ અર્બન ગુજરાતી ફિલ્મમાં ગીતકાર તરીકે હાલ ખુબ જ લોકપ્રિય છે. અનેક લોભજીભેલા ચડેલા ગુજરાતી ગીતો મિલિન્દની કલમથી નીકળી ગુજરાતીઓના હૃદયમાં પહોંચ્યા છે. ફિલ્મના ગીતકાર તરીકે મિલિન્દને ટ્રાન્સ મીડિયા એવોર્ડ, GIFA એવોર્ડ, ગુજરાત સરકાર દ્વારા શ્રેષ્ઠ ગીતકાર એવોર્ડ પ્રાપ્ત થયા છે. 'મૌજે ગુજરાત'માં મિલિન્દએ પણ પોતાની આગવી અદામાં સહ સંચાલન કરીને એક અનેરો રંગ ઉમેર્યો હતો.
ડો. રઇશ મણિયાર એવું નામ કે જેમણે ગુજરાતી સાહિત્ય જગતમાં ખુબ મોટી નામના મેળવી છે. સુરત સ્થિત જાણીતા કવિ, નવલકથાકાર, નાટ્યલેખક, હાસ્યલેખક અને કોલમિસ્ટ, ગુજરાતીઓ માટે કોઇ નવું નામ નથી. વિખ્યાત અને પ્રતિષ્ઠિત અનેક એવોર્ડ્સ જેવા કે શયદા એવોર્ડ, કલાપી એવોર્ડ અને તાજેતરમાં જ નર્મદ સુવર્ણ ચંદ્રકથી સન્માનિત ડો. રઇશ મણીયાર મંચ પર તેમની હળવી શૈલીના વકતવ્યો અને કવિતાઓ માટે ખુબ જ ખ્યાતીપ્રાપ્ત સર્જક તરીકે છેલ્લા દાયકામાં ઉભરી આવ્યા છે.