શિવસેના સાથે હાથ મિલાવીને સરકાર રચવા પહેલાં વિચાર કરજો : જમિયત ઉલેમા-એ-હિંદે સોનિયા ગાંધીને અપીલ કરી
શિવસેના સાથે મહારાષ્ટ્રમાં સરકાર રચવાનો નિર્ણય કોંગ્રેસ માટે ઘાતક અને જોખમી સાબિત થશે
મુંબઇ: મુસ્લિમોની સંસ્થા મહારાષ્ટ્રની જમિયત ઉલેમા-એ-હિંદે કોંગ્રેસ પ્રમુખ સોનિયા ગાંધીને અપીલ કરી હતી કે મહારાષ્ટ્રમાં શિવસેના સાથે હાથ મિલાવીને સરકાર રચવા પહેલાં વિચાર કરજો
ભાજપ સાથે છેડો ફાડી ચૂકેલી શિવસેના એનસીપી અને કોંગ્રેસ સાથે સરકાર રચવાના હવાતિયાં મારી રહી છે ત્યારે મુસ્લિમોની આ સંસ્થાએ કોંગ્રેસ પ્રમુખને શિવસેના સાથે હાથ મિલાવવા સામે ચેતવ્યાં હતાં.
શિવસેના પહેલેથી કટ્ટર હિન્દુવાદી સંસ્થા ગણાય છે અને મુસ્લિમોની વિરુદ્વ છે. એ યાદ રાખીને જમિયતે આ અપીલ કરી હતી. જમિયતના અધ્યક્ષ અર્શદ મદનીએ સોનિયા ગાંધીને લખેલા પત્રમાં જણાવ્યું હતું કે શિવસેના સાથે હાથ મિલાવીને મહારાષ્ટ્રમાં સરકાર રચવાનો નિર્ણય કોંગ્રેસ માટે ઘાતક અને જોખમી સાબિત થશે એ તરફ આપનું ધ્યાન ખેંચી રહ્યો છું.
છેલ્લાં 70 વર્ષથી કોંગ્રેસે મુસ્લિમોના તારણહાર હોવાનો ડોળ ઘાલ્યો હતો અને મુસ્લિમોની વોટબેંક બનાવી હતી.
દરમિયાન, રિપબ્લિકન પક્ષના નેતા રામદાસ આઠવલેએ ભાજપ અને શિવસેનાની સરકાર રચવા માટે નવી ફોર્મ્યુલા રજૂ કરી હતી. તેમણે કહ્યું હતું ભાજપ ત્રણ વર્ષ માટે અને શિવસેના બે વર્ષ માટે મુખ્ય પ્રધાન પદ ભોગવવાની યોજના ઘડીને રાજ્યમાં સરકાર રચી શકે છે.