ભાવનગરમાં શિપબ્રેકરોને ત્યાં આવકવેરાના દરોડા
૧૫થી વધુ સ્થળોએ ૫૦ ઓફીસરોના કાફલા દ્વારા તપાસનો ધમધમાટઃ ઘર અને ઓફીસ ઉપર સામટી કાર્યવાહીઃ શિપબ્રેકરો સ્તબ્ધ
ભાવનગર તા. ૧૯: ભાવનગરનાં જાણીતા શીપબ્રેકરોને ત્યાં વહેલી સવારથી જ ઇન્કમ ટેકસનાં દરોડા પડયા છે. શીપબ્રેકરો ઉપરાંત ઉદ્યોગપતિ અને રીર્ટનનું કામ કરનારા એકાઉન્ટન્ટની પણ તપાસ શરૂ થતાં શીપબ્રેકીંગ વર્તુળમાં ચકચાર જાગી છે.
મળતી વિગતો મુજબ ઇન્કમટેકસ વિભાગ કાફલાએ આજે સવારે શહેરમાં શિશુવિહાર, માધવદર્શન સહિતની જુદી જુદી જગ્યાએ શીપબ્રેકરો અને ઉદ્યોગપતિઓની ઓફિસે દરોડાની કાર્યવાહી શરૂ કરી હતી. પ૦ થી વધુ ગાડીઓમાં બહારગામનાં અધિકારીઓનો કાફલો દરોડામાં જોડાયો છે.
ઇન્કમ ટેકસનાં અધિકારીઓએ ઉદ્યોગપતિઓ ઉપરાંત એકાઉન્ટન્ટની પણ તપાસ હાથ ધરી છે. દરોડાને પગલે શીપ બ્રેકીંગ વર્તુળોમાં ભારે ચર્ચા જાગી છે.
આવકવેરા દરોડાની કામગીરી બે દિવસ ચાલવાની સંભાવના છે અને તપાસના અંતે કરપાત્ર રકમનો આંક મોટો આવવાની શકયતા પ્રવર્તે છે.