GST રિટર્નની ડેડલાઇન ૩૧ માર્ચ સુધી લંબાવવા માગણી
મુંબઇ, તા.૧૯: ગુડ્સ એન્ડ સર્વિસીસ એકટના ઓડિટની ડેડલાઇન જેમ જેમ નજીક આવતી જાય છે તેમ તેમ કંપનીઓ માટે તેની પૂર્તતા કરવી મુશ્કેલ બનતી જાય છે. કેટલીય કંપની અને બેન્કોને દહેશત છે કે તેઓ તમામ રાજયો માટે અલગ ઓડિટનું વર્ષના અંત સુધી પાલન નહીં કરી શકે, કારણ કે તેઓ રાજયવાર રિટર્નની સાથે પોતાના ફાઇનાન્શિયલ રિઝલ્ટ તૈયાર કરતી નથી.
મોટા ભાગની કંપનીઓની માગણી છે કે સરકાર જીએસટીઆર-૯ અને જીએસટીઆર-૯ સી રિટર્ન દાખલ કરવાની ડેડલાઇન લંબાવીને ૩૧ માર્ચ, ૨૦૧૯ કરે.
ટેકસ રિટર્ન જુલાઇ-૨૦૧૭થી માર્ચ-૨૦૧૮ સુધીની સમયમર્યાદામાં ભરવાનું હોય છે. દેશમાં ઓછામાં ઓછા રૂ. બે કરોડની વાર્ષિક આવક ધરાવતી તમામ કંપનીઓએ તેનું પાલન કરવાનું હોય છે, પરંતુ દ્યણા કિસ્સામાં સ્ટેચ્યુટરી ઓડિટર્સ દ્વારા હજુ સુધી ફાઇનાન્શિયલ રિઝલ્ટ તૈયાર કરાયાં નથી અને તેના કારણે જીએસટી ફ્રેમવર્ક અનુસાર પ્રત્યેક રાજયમાં રિટર્ન ભર્યા બાદ તેમાં સુધારો કરી શકાશે નહીં. એવી દહેશત છે કે જે કંપનીઓ ૩૧ ડિસેમ્બર સુધી રિટર્ન ભરવાની ડેડલાઇન ચૂકી જશે તેના સ્ક્રૂટિની ટેકસ અધિકારી પહેલા કરશે.