ભીમા કોરેગાંવ હિંસામાં નકસલીઓની સાથે દિગ્વિજયસિંહનું કનેકશન ખૂલ્યું
સંબિત પાત્રાએ આરોપ લગાવ્યો કે કોંગ્રેસ નેતા જયરામ રમેશ અને દિગ્વિજયસિંહને કથિત રીતે નકસલી કનેકશન છે
પૂણે તા. ૭ ભીમા કોરેગાંવ હિંસાની તપાસ કરી રહેલી પુણે પોલીસને આ ઘટનાના તાર કોંગ્રેસ નેતા દિગ્વિજય સિંહ સાથે જોડાયેલા દેખાઇ રહ્યા છે.
પોલીસનું કહેવું છે કે, જાન્યુઆરીમાં થયેલી આ હિંસામાં કોંગ્રેસના આ દિગ્ગજ નેતાની ભૂમિકાની તેઓ તપાસ કરી રહ્યા છે. પુણે પોલીસના ડીસીપી સુહાસ બાવચેનું કહેવું છે કે, જો જરૂર પડી તો, અમે દિગ્વિજય સિંહને તપાસમાં સહકાર આપે તેના માટે સમન્સ પણ પાઠવી શકીએ છીએ.
પુણે પોલીસના મતે, આ ઘટનામાં જૂનમાં ધરપકડ થયેલ એક્ટિવિસ્ટ રોના વિલ્સનને વોન્ટેડ નક્સલી નેતા મિલિંદ ટેલ્ટુમ્બ્ડે એક પત્ર લખ્યો હતો, તેમાં લખવામાં આવ્યું હતું કે, ઘણા કોંગ્રેસી નેતા અમારી મદદ કરવા તૈયાર છે. આ તપાસમાં પોલીસે જયારે ધરપકડ માઓવાદી સમર્થક નેતાઓ પ્રકાશ ઉર્ફે રિતુપન ગોસ્વામી અને સુરેન્દ્ર ગાડલિંગના મોબાઇલ નંબરોની તપાસ કરી તો એક નંબર પર તેઓની જેના સાથે વાત થતી હતી, તે કોંગ્રેસ નેતા દિગ્વિજય સિંહનો નિકળ્યો હતો. ડીસીપી સુભાષે માન્યું કે, પોલીસની તપાસ ખુબ જ સંવેદનશીલ અને હાઇપ્રોફાઇલ લોકો સાથે જોડાયેલી છે. તેમણે કહ્યું કે, અમે આ ઘટનામાં તમામ એન્ગલથી તપાસ કરી રહ્યા છે.
અગાઉ બીજેપી તરફથી કોંગ્રેસે આ મોટા નેતા પર નક્સલ લિંકનો આરોપ લગાવ્યો હતો. દિગ્વિજયે બીજેપીના આ આરોપ પર તાત્કાલિક પોતાની પ્રતિક્રિયા આપતા કહ્યું હતું કે, જો બીજેપી મારા પર નક્સલી હોવાનો આરોપ લગાવી રહી છે તો સરકાર માને પકડતી કેમ નથી? કોંગ્રેસ નેતાએ વધુમાં જણાવ્યું કે, મને પહેલા પણ દેશદ્રોહી કહેવામાં આવી ચૂક્યો છે, એટલામાટે સરકાર મારી ઘરપકડ કરે. તમને જણાવી દઇએ કે, બીજેપી નેતા સંબિત પાત્રાએ આરોપ લગાવ્યો હતો કે, દિગ્વિજય સિંહનું કનેક્શન નક્સલીઓની સાથે છે.
સંબિત પાત્રાએ પ્રેસ કોન્ફરન્સ કરી કોંગ્રેસ ઉપર નક્સલ લિંકનો આરોપ લગાવ્યો હતો. સંબિત પાત્રાએ આરોપ લગાવ્યો કે કોંગ્રેસ નેતા જયરામ રમેશ અને દિગ્વિજય સિંહને કથિત રીતે નક્સલી કનેક્શન છે. બીજેપીના આરોપ પર પલટવાર કરતા દિગ્વિજય સિંહે કહ્યું કે, જો એવું છે તો મારી સરકાર ધરપકડ કરાવે. પહેલા દેશદ્રોહી, હવે નક્સલી. જો એવું છે તો અહીંથી ધરપકડ કરો મારી.