કરવેરા વસુલાતમાં ઘટાડાથી મૂડીરોકાણકારો ચિંતાતુર છે
ટેક્સ કલેક્શનના લક્ષ્યથી ઓછું કલેક્શન થયું : વર્ષ માટે ૧૭.૫ ટકાના લક્ષ્ય સામે ૪.૭ ટકા કર સંગ્રહ
મુંબઈ, તા. ૧૯ : ટેક્સ કલેક્શનમાં ઘટાડાની ચિંતા દલાલસ્ટ્રીટમાં રોકાણકારોને સતાવી રહી છે. સરકારે આ વર્ષ માટે ૧૭.૫ ટકા વધારે ટેક્સ કલેક્શન માટેનો લક્ષ્ય મુક્યો હતો જ્યારે માત્ર ૪.૭ ટકા વધારે કરવેરા સંગ્રહ થઇ શક્યો છે. ૧૭મી સપ્ટેમ્બર સુધી ૫.૫૦ લાખ કરોડ પ્રત્યક્ષ કરની રકમ જમા કરવામાં આવી છે જ્યારે ગયા વર્ષે ૫.૨૫ લાખ કરોડ રકમ જમા કરવામાં આવી હતી. આંકડો ઉલ્લેખનીયરીતે ચિંતા ઉપજાવે તે પ્રકારનો દેખાઈ રહ્યો છે. શેરબજારમાં જુદા જુદા પરિબળોની અસર આજે જોવા મળી હતી. ઇકોનોમિક બુસ્ટરની અછત દેખાઈ રહી છે. આર્થિક પરિસ્થિતિના પરિણામ સ્વરુપે શેરબજારમાં નિરાશા જોવા મળી રહી છે. કોર્પોરેટ ક્ષેત્રમાં દેખાવ રોકાણકારોને પ્રભાવિત કરવામાં નિષ્ફળ છે. નિષ્ણાતોનું કહેવું છે કે, આર્થિક સુસ્તી અને ઘટતી જતી માંગના પરિણાસ્વરુપે વિકાસ દરમાં ઘટાડો થતાં બજારમાં સતત દબાણની સ્થિતિ જોવા મળી રહી છે. આવકવેરામાં વધારો જોવા મળી રહ્યો નથી. જાણકાર લોકોનું કહેવું છે કે, રિઝર્વ બેંકની ઘોષણા અને પેકેજની જાહેરાતથી માર્કેટ સંતુષ્ટ નથી. માર્કેટનું કહેવું છે કે, જ્યાં સુધી વધુ રેટમાં ઘટાડો થશે નહીં ત્યાં સુધી સ્થિતિ યથાવત રહેશે.