ચંદ્રના દક્ષિણ ધ્રુવ પર પડેલા લેન્ડર 'વિક્રમ' સાથે સંપર્ક થવાની તમામ શક્યતાઓ ખતમ
ગણતરીના કલાકોમાં 'વિક્રમ'ને અંધારુ ગળી જશે
નવી દિલ્હી : ચંદ્રના દક્ષિણ ધ્રુવ પર પડેલા લેન્ડર 'વિક્રમ' સાથે સંપર્ક કરવાની તમામ શક્યતાઓ ખતમ થઈ છે.દક્ષિણ ધ્રુવ પર હવે કાળી ઘનઘોર રાત પડવાની તૈયારીમાં છે. ગણતરીના કલાકોમાં 'વિક્રમ'ને અંધારુ ગળી જવાનુ છે. એ પછી તેની તસવીર લેવાનુ પણ શક્ય નહી બને.
ચંદ્રના દક્ષિણ ધ્રુવ પર પૃથ્વીના 14 દિવસ જેટલા સમય માટે રાત રહેવની છે. 'વિક્રમ' લેન્ડર જ્યાં પડ્યુ છે ત્યાં તાપમાન રાતે માઈનસ 183 ડિગ્રી જેટલુ થઈ જાય છે. 'વિક્રમ'ના ઈલેક્ટ્રોનિક પાર્ટસ આટલુ તાપમાન એમ પણ નહી વેઠી શકે. જો લેન્ડરમાં રેડિયોઆઈસોટોપ હીટર યુનિટ હોત તો કદાચ 'વિક્રમ' આટલી ઠંડી વેઠી શક્યુ હોત પણ હવે વિક્રમ સાથેના સંપર્ક કરવાની તમામ શક્યતાઓ ખતમ થઈ ગઈ છે.
ઈસરો લેન્ડર 'વિક્રમ' સાથે જોડાયેલી જાણકારી અને તસવીર 20-21 સપ્ટેમ્બર બાદ જાહેર કરે તેવી સંભાવના છે. જોકે ઈસરોએ આ આંગે કોઈ ફોડ પાડ્યો નથી. ઈસરોએ ટ્વિટ કરીને લોકોનો પોતાની પડખે રહેવા બદલ આભાર પણ માન્યો છે.