ઇન્કમટેક્સ એક્ટના સંદર્ભે અહેવાલ અંતે સુપ્રત કરાયો
નવા ડાયરેક્ટ ટેક્સ કોડને લાવવાની તૈયારી કરાઈ : સીબીડીટીના મેમ્બર અખિલેશ રંજનના નેતૃત્વમાં કમિટિ દ્વારા કઇ કઈ ભલામણ કરાઈ છે તેને લઇને ભારે સસ્પેન્સ
નવી દિલ્હી, તા. ૧૯ : સીબીડીટીના સભ્ય અખિલેશ રંજનના નેતૃત્વમાં કમિટિએ આજે તેનો અહેવાલ સોંપી દીધો હતો. આ અહેવાલ ઇન્કમટેક્સ એક્ટની જગ્યાએ નવા ડાયરેક્ટ ટેક્સ કોડને લાવવા સાથે સંબંધિત છે. નાણામંત્રાલય દ્વારા આજે આ અંગેની માહિતી આપવામાં આવી હતી. ઇન્કમટેક્સ એક્ટની જગ્યાએ આવનાર નવા ડાયરેક્ટ ટેક્સ કોડમાં કયા પ્રકારની ભલામણો કરવામાં આવી છે તે સંદર્ભમાં હજુ સુધી કોઇ પણ પ્રકારની માહિતી મળી શકી નથી. ૩૧મી મે સુધી તેનો અહેવાલ સોંપવા માટે આ ટાસ્ક ફોર્સ અને કમિટિને કહેવામાં આવ્યું હતું પરંતુ ત્યારબાદ તત્કાલિન નાણામંત્રી અરુણ જેટલીએ તેને વધુ બે મહિનાની મહેતલ આપી હતી. ત્યારબાદ સરકારે ૧૬મી ઓગસ્ટ સુધી તેને અહેવાલ સુપ્રત કરવા માટે ટાસ્ક ફોર્સને કહ્યું હતું.
આ બાબતને ધ્યાનમાં લઇને ટાસ્ક ફોર્સના નવા સભ્યોએ વધુ માહિતી આપવા માટે વધારે સમયની માંગ કરી હતી. ગયા વર્ષે નવેમ્બર મહિનામાં નાણામંત્રાલય દ્વારા આની રચના કરી હતી. અરવિંદ મોદી નિવૃત્ત થઇ ગયા બાદ ટાસ્ક ફોર્સના કન્વીનર તરીકે અખિલેશ રંજનની નિમણૂંક કરવામાં આવી હતી. સમિતિના અન્ય સભ્યોમાં ગીરીશ આહૂજા, રાજીવ નેમાની, મુકેશ પટેલ, માનસી કડિયા, જીસી શ્રીવાસ્તવની નિમણૂંક કરવામાં આવી હતી. વડાપ્રધાન નરેન્દ્ર મોદીએ સપ્ટેમ્બર ૨૦૧૭માં ટેક્સ અધિકારીઓની વાર્ષિક બેઠકમાં ઠેરવ્યું હતું કે, ઇન્કમટેક્સ એક્ટ ૧૯૬૧ ખુબ જુના કાયદા તરીકે છે તેમાં ફરી ધ્યાન આપવાની જરૂર છે. અન્ય દેશોમાં પ્રવર્તી રહેલા કાયદાઓ અને ધારાધોરણને ધ્યાનમાં લઇને ડાયરેક્ટ ટેક્સ કાયદાના મુસદ્દાને તૈયાર કરવા માટે ટાસ્ક ફોર્સને કહેવામાં આવ્યું હતું.
દેશની આર્થિક જરૂરિયાતોને ધ્યાનમાં લઇને જરૂરી ફેરફાર કરવા માટે કહેવામાં આવ્યું હતું. પેનલે શરૂઆતમાં સરકારને તેનો અહેવાલ સુપ્રત કરવા માટે કહ્યું હતું. છ મહિનાની અંદર જુદા જુદા મામલાને લઇને તૈયારી કરવામાં આવી હતી. ૩૦મી સપ્ટેમ્બર ૨૦૧૮ના દિવસે અરવિંદ મોદીની નિવૃત્તિ બાદ અખિલેશ રંજનના નેતૃત્વમાં પેનલે જુદી જુદી જવાબદારી સંભાળી હતી. ઇન્કમટેક્સ એક્ટની જગ્યાએ નવા ડાયરેક્ટ ટેક્સ કોડને લાગૂ કરવા માટે તમામ તૈયારીઓ કરવામાં આવી રહી હોવાના અહેવાલ મળી રહ્યા છે. સીબીડીટીના અખિલેશ રંજનના નેતૃત્વમાં આ કમિટિની ભલામણોને લઇને આર્થિક નિષ્ણાતોમાં પણ ચર્ચા ચાલી રહી છે.