મુખ્ય સમાચાર
News of Monday, 19th August 2019

રેકોર્ડ વરસાદથી હિમાચલ, ઉત્તરાખંડની હાલત કફોડી : રરના મોત

દિલ્હીમાં યમુના ખતરાના નિશાનથી ઉપરઃ હિમાચલ પ્રદેશમાં છેલ્લા ૭૦ વર્ષની સૌથી ભીષણ વર્ષા

નવી દિલ્હી,તા. ૧૯: હિમાચલપ્રદેશમાં છેલ્લા ૭૦ વર્ષમાં સૌથી ભીષણ પુરની સ્થિતી સર્જાયેલી છે. ઉત્તરાખંડના ઉત્તરકાશીમાં વાદળ ફાટવાથી ભારે નુકસાન થયુ છે. બંને રાજ્યોમાં પુર અને વરસાદના કારણે મોતનો આંકડો વધીને ૩૫ ઉપર પહોંચી ગયો છે. મોટી સંખ્યામાં લોકો હજુ પણ લાપતા થયેલા છે. યંમુના સાથે જોડાયેલા નજીકના વિસ્તારોમાં રહેતા લોકોને સુરક્ષિત સ્થળ પર ખસેડી દેવામાં આવ્યા છે. જુદા જુદા રાજ્યોમાં સ્થિતી ગંભીર બનેલી છે. બંને રાજ્યોમાં જનજીવન પર માઠી અસર થયેલી છે. રાજ્યના તમામ વિસ્તારોમાં ભેખડો ધસી પડવા અને નવેસરથી પુરના કારણે ૩૨૩ રસ્તાઓ અને રાષ્ટ્રીય રાજમાર્ગ સંખ્યા પાંચ ઉપર વાહનોની અવરજવરને રોકી દેવામાં આવી છે. હિમાચલ પ્રદેશ ઉપરાંત અન્ય રાજ્યોમાં પણ પુરની સ્થિતિ સર્જાયેલી છે. વરસાદ સંબંધિત ઘટનાઓના કારણે હિમાચલમાં  ૨૨ લોકોના મોત થયા છે. શિમલા આરટીઓ ઓફિસની પાસે ભેખડ ધસી પડતા ત્રણ લોકોના મોત થયા છે. આ ઉપરાંત આ ઘટનામાં અન્ય કેટલાક લોકો ગંભીરરીતે ઘાયલ થયા છે.

 

બીજી બાજુ કુલ્લુ જિલ્લામાં રોહરુમાં ભેખડો ધસી પડવાના કારણે એકનું મોત થયું છે. વૃક્ષ ધરાશાયી થવાના લીધે બે નેપાળી નાગરિકોના મોત થયા છે. ચમ્બામાં પણ ભારે વરસાદના પરિણામ સ્વરુપે પુરની સ્થિતિ સર્જાઈ ગઈ છે. આજે કિન્નોર જિલ્લાના રિબ્બા વિસ્તારમાં વરસાદના કારણે ભેખડો ધસી પડતા રાષ્ટ્રીય રાજમાર્ગ આઠને બંધ કરવાની ફરજ પડી છે. પ્રદેશના જુદા જુદા વિસ્તારોમાં ભેખડો ધસી પડતા ૩૨૩ રસ્તાઓ ઉપર વાહનોની અવરજવર રોકી દેવામાં આવી છે.

કાંગરા જિલ્લામાં પાંચ ઇંચથી વધુ વરસાદ થયો છે જ્યારે ધર્મશાળામાં પણ પાંચ અને દલહોજી અને ચંબામાં ત્રણ ઇંચ સુધીનો વરસાદ થયો છે. ચંબા, કાંગરા સહિતના વિસ્તારોમાં તંત્ર સંપૂર્ણપણે એલર્ટ થયું છે. બચાવ અને રાહત કામગીરી હાથ ધરવામાં આવી છે. લાહોલ, સ્પીતી જિલ્લામાં મનાલી તરફ જતા નેશનલ હાઈવે ઉપર કોકસર પાસે પુલ ધરાશાયી થતાં વાહનોની અવરજવર રોકી દેવામાં આવી છે. મનાલી-લેહ હાઈવેને પણ બંધ કરવાની ફરજ પડી છે. ભારે વરસાદના લીધે ચંબા અને કાંગરા જિલ્લાની સ્કુલોમાં રજા જાહેર કરવામાં આવી છે.

હિમાચલ પ્રદેશના ચંબા જિલ્લામાં ભારે વરસાદથી જનજીવન ખોરવાઈ ગયું છે. તંત્ર દ્વારા સાવચેતીના તમામ પગલા લેવાઈ રહ્યા હોવા છતાં સ્થિતિમાં સુધારો થવાના સંકેત દેખાઈ રહ્યા નથી. અસરગ્રસ્ત વિસ્તારોમાં બચાવ ટુકડીઓ પહોંચી ચુકી છે. બીજી બાજુ રાષ્ટ્રીય પાટનગર દિલ્હીના કેટલાક ભાગોમાં હળવો વરસાદ થયો છે. જો કે, હથનીકુંડ બેરેજમાંથી પાણી છોડવામાં આવતા દિલ્હીમાં પુરનું સંકટ સર્જાઈ રહ્યું છે. યમુના નદીમાં પાણીની સપાટી વધી રહી છે જેથી દિલ્હી સરકાર તરફથી ચેતવણી જારી કરવામાં આવી ચુકી છે. યમુના નદીની આસપાસ ન જવા માટે કહેવામાં આવ્યું છે.હથનીકુંજ બેરેજમાંથી ૮.૭૨ લાખ ક્યુસેક પાણી છોડવામાં આવ્યા બાદ પાટનગર દિલ્હીમાં પણ પુર સંકટ છે. દિલ્હીમાં બચાવ અને રાહત કામગીરી ચાલી રહી છે.

ઉત્તરાખંડના ઉત્તરકાશી જિલ્લામાં વાદળ ફાટવાની ઘટનાના કારણે ભારે તબાહી થઇ છે. સ્થાનિક લોકોના કહેવા મુજબ આ વિસ્તારમાં વાદળ ફાટવાના કારણે અનેક લોકો પાણીમાં ડુબી ગયા છે. અલબત્ત વહીવટીતંત્ર દ્વારા આને માત્ર ભારે વરસાદ સાથે થયેલી ઘટના તરીકે ગણાવી રહ્યા છે. ઉત્તરકાશીના અધિકારીઓના કહેવા મુજબ ભારે વરસાદના લીધે અનેક મકાનોને ભારે નુકસાન થયું છે. ઉત્તરકાશીના મોરી તાલુકા, આરાકોટ અને ટિકોચી સહિતના વિસ્તારોમાં વાદળ ફાટવાની ઘટનાથી હાલત કફોડી છે.

(4:15 pm IST)