મુખ્ય સમાચાર
News of Monday, 19th August 2019

સહારનપુરમાં હ્ય્દયદ્રાવક ઘટનાઃ ગુન્હેગારોએ પત્રકાર અને તેના સગાભાઇની ગોળી ધરબી કરી હત્યા

સાહરનપુર, તા., ૧૯: ઉતરપ્રદેશના સાહરનપુરમાં ગઇકાલે સવારે પત્રકાર અને તેના ભાઇની ગોળી મારી હત્યા કરી નાખવામાં આવતા દહેશતનો માહોલ ફેલાયો છે. પોલીસની ઐસીતૈસી કરનાર હત્યારાઓના ઘર ઉપર ગુસ્સે ભરાયેલી ભીડે આગચંપીની કોશીષ કરી હતી. પરંતુ પોલીસે સ્થળ પર પહોંચી લાઠીચાર્જ કરી ભીડને વિખેરી નાખી હતી.

મળતી માહીતી મુજબ રવિવારે સવારે લગભગ ૧૦ વાગ્યા આસપાસ માધવનગરમાં રહેવાવાળા રપ વર્ષીય આશીષ અને તેના ભાઇ આશુતોષની સામે જ રહેવાવાળા મહીપાલ સૈની સાથે વિવાદ ચાલતો હતો. આ વિવાદ ગાયના છાણના કારણે થતો હતો. આશીષના ઘરે ગાય છે અને મહિપાલ સૈનીના ઘરે પણ ગાય છે. મહિપાલ પોતાની ગાયનું છાણ આશીષના ઘર સામેની નાલીમાં નાખતો હતો. આ બાબતે બોલાચાલી અને મારપીટ થઇ ગઇ હતી. ત્યાર બાદ તેના ઘરમાં ઘુસી મહિપાલ સૈનીએ આશીષ અને તેના નાનાભાઇની ગોળી મારી હત્યા કરી નાસી છુટયા હતા. સવાર સવારમાં ગોળીઓના અવાજથી અફડાતફડી મચી ગઇ હતી.

આશીષ એક દૈનિક પત્રમાં રીપોર્ટીગ કરતો હતો તેના પિતાનું બે વર્ષ પહેલા કેન્સરમાં મૃત્યુ થયું હતું. આશીષના લગ્ન દોઢ વર્ષ પહેલા થયા હતા. હાલ તેની પત્ની ચાર મહિનાની ગર્ભવતી છે. ઘરમાં આશીષ અને તેનોભાઇ બે જ કમાવવાવાળા હતા. આ ઘટનાથી અત્યંત કરૂણાસભર વાતાવરણ સર્જાયુ છે આશીષની પત્ની અને મા સાવ નોંધારા બની ગયા છે.

(3:55 pm IST)