ઉજ્જવલાનું લક્ષ્ય દસ કરોડ કરવાની તૈયારી
૨૦૨૦ સુધીમાં ૮ કરોડ ઘરોમાં અપાશે ગેસ કનેકશન
નવી દિલ્હી તા ૧૯ : દરેક ઘરમાં ઇંધણ પહોંચાડવાનું વચન પુરૂ કરવા માટે કેન્દ્ર સરકાર પોતાની મહત્વાકાંક્ષી યોજનાનું લક્ષ્ય વધારી શકે છે. સરકાર પ્રધાનમંત્રી ઉજ્જવલા યોજનાનું લક્ષ્ય આઠ કરોડથી વધારી દશ કરોડ કરવાની તૈયારીઓ કરી રહી છે, કેમ કે સાર્વજનીક ક્ષેત્રની ઓઇલ કંપનીઓ પાસે ૮ કરોડથી વધારે અરજીઓ આવી ચુકી છે. સરકારે ૨૦૨૦ સુધીમાં આઠ કરોડનું લક્ષ્ય રાખ્યું છે.
પેટો્રલિયમ મંત્રાલયના એક ઉચ્ચ અધિકારી અનુસાર, આ યોજના માટે રોજની પ૦ હજાર અરજીઓ મળે છે, અત્યાર સુધીમાં લગભગ ૧૦ કરોડ ૮૦ લાખ અરજીઓ મળી છે, તેમાંથી ૮ કરોડ ૧૨ લાખથી વધારે અરજીઓ યોગ્ય જણાઇ છે, એટલે આ બધા અરજદારો પ્રધાનમંત્રી ઉજ્જવલા ગેસ યોજનાના વ્યાપમાં આવેછે. તેમણે જણાવ્યું કે જે અરજીઓ રદ કરાઇ છે, તેમાંથી મોટા ભાગના પરિવારો પાસે પહેલાથી જ ગેસ કનેકશન હતું, એટલે તેમને લાભાર્થી નથી માનવામાં આવ્યા.
સરકારે ૨૦૨૦ સુધીમાં ૮ કરોડ ઉજ્જવલા ગેસ કનેકશનનું લક્ષ્ય રાખ્યું છે, પણ સરકાર તેને સમય પહેલાંજ પુરૂ કરી લેશે. આ લક્ષ્ય સપ્ટેમ્બરમાં બીજા સપ્તાહ સુધીમાં પુરૂ થવાની શકયતા છે. મંત્રાલયનું કહેવું છે કે, શરૂઆતમાં લોકો રાંધણગેસથી થતાં લાભો અંગે જાગૃત નહોતા તેથી તેઓ ગેસ કેનકશન લેવામાં અચકાતા હતા પણ હવે દુર દુરના અંતરે રહેતા લોકો પણ ગેસ કનેકશન માટે અરજી કરી રહયા છે, કેમ કે સ્વચ્છ ઇંધણથી થતા ફાયદાઓ બાબતે લોકો જાગૃત બન્યા છે.