કેન્દ્રીય મંત્રી મુખ્તાર અબ્બાસ નક્વી રાજ્યસભામાં ભાજપના નાયબ નેતા
આ પહેલા ગૃહમાં નાયબ નેતાની જવાબદારી કેન્દ્રીય મંત્રી પીયૂષ ગોયલની પાસે હતી
નવી દિલ્હીઃ ભાજપે કેન્દ્રીય લઘુમતી કાર્યમંત્રી મુખ્તાર અબ્બાસ નક્વીને રાજ્યસભાના નાયબ નેતા તરીકે નીમ્યા છે. ભાજપના વરિષ્ઠ નેતા નક્વી સંસદીય મામલાઓ પર સારી પક્કડ રાખે છે. તે જુદા-જુદા રાજકીય દળો સાથે સારા સંબંધ અને સમન્વય માટે પણ જાણીતા છે.
આ પહેલા ગૃહમાં નાયબ નેતાની જવાબદારી કેન્દ્રીય મંત્રી પીયૂષ ગોયલની પાસે હતી. તેમને છેલ્લા દિવસોમાં રાજ્યસભામાં નાયબ નેતા બનાવાયા હતા. પીયૂષ ગોયલ પહેલા થાવરચંદ ગેહલોતને આ જવાબદારી સોંપવામાં આવી હતી. જો કે મંત્રીપરિષદના વિસ્તરણ પહેલા તેમને કર્ણાટકના રાજ્યપાલ બનાવાયા હતા.
રાજ્યસભામાં વિપક્ષના હંગામા વચ્ચે વડાપ્રધાન મોદીએ નવા મંત્રીઓનો પરિચય કરાવ્યો. આ દરમિયાન વડાપ્રધાને જણાવ્યું હતું કે વિપક્ષને ઓબીસી અને મહિલાઓ મંત્રી બન્યા તેની તકલીફ છે. વિપક્ષની માનસિકતા મહિલા વિરોધી છે.
તેમણે જણાવ્યું હતું કે ગૃહમાં પહેલી વખત આ પ્રકારની માનસિકતા જોવા મળી છે. નવા મંત્રીઓનું દરેક સ્થિતિમાં સમ્માન થવું જોઈએ. સમગ્ર દેશ આ દ્રશ્યને જોઈને ઘૃણા કરશે. વિપક્ષી સાંસદોનું વલણ યોગ્ય નથી.
જાસૂસીકાંડ, મોંઘવારી, કોરોના, ખેડૂત આંદોલનને લઈને લોકસભામાં જોરદાર હંગામો થયો હતો. તેના લીધે લોકસભાની કાર્યવાહી બે વાગ્યા સુધી સ્થગિત કરવી પડી હતી. લોકસભાના સ્પીકરે પ્રશ્નકાલ ચલાવવાનો પ્રયત્ન કર્યો, પરંતુ વિપક્ષી સાંસદોના હંગામામાં કોઈ કમી ન આવી. બીજી બાજુ રાજ્યસભામાં કોંગ્રેસના સાંસદ રાજીવ સાતવના નિધનના લીધે રાજ્યસભાની કાર્યવાહી એક કલાક સુધી સ્થગિત થઈ હતી.