કોરોના વિરુદ્ઘ રસી લઇને દેશમાં ૪૦ કરોડ લોકો બન્યા બાહુબલીઃ PM મોદી
પીએમ મોદીએ કહ્યું કેઃ તે અઘરા સવાલો માટે તૈયાર છે પરંતુ વાતાવરણ શાંતિપૂર્ણ બનેલું રહે
નવી દિલ્હી, તા.૧૯: આજથી સંસદનું મોનસૂન સત્ર શરૂ થયુ છે. સરકાર આ સત્રમાં કેટલાક વિધેયક પાસ કરાવવાની તૈયારીમાં છે, જયારે વિપક્ષ પણ અનેક મુદ્દા પર સરકારને ઘેરવા માટે તૈયાર છે. જેમાંથી એક છે કોરોના રસીકરણ. આ દરમિયાન પીએમ મોદીએ કહ્યું કે, તે અદ્યરા સવાલો માટે તૈયાર છે પરંતુ વાતાવરણ શાંતિપૂર્ણ બનેલું રહે.
પીએમ મોદીએ રસીકરણ પર વાત કરતા કહ્યું કે, જે લોકોએ રસી લીધી છે તે બાહુબલી બની ગયા છે. પીએમ મોદીએ કહ્યું કે, ૪૦ કરોડ લોકો બાહુબલી બની ચૂકયા છે. મોનસૂન સત્ર દરમિયાન પીએમ મોદી છત્રી લઇને સંસદમાં આવતાં જોવા મળ્યા હતા.
પીએમ મોદીએ કહ્યું કે, અમે તમામ સાંસદ અને પાર્ટીને અપીલ કરીએ છે કે તેઓ અદ્યરામાં અઘરા સવાલ પૂછે પણ સરકારને જવાબ આપવાનો મોકો આપો. આનાથી લોકતંત્ર મજબૂત થશે અને લોકોનો વિશ્વાસ કાયમ રહેશે.
પીએમ મોદીએ જણાવ્યું કે, શાંતિપૂર્ણ રીતે સવાલ ઉઠાવો. હું ઈચ્છુ છુ કે તમામ સભ્ય અઘરા સવાલ ઉઠાવે, પરંતુ શાંતિપૂર્ણ વાતાવરણમાં. મને આશા છે કે તમને બધાને રસીનો એક ડોઝ મળી ગયો હશે. પોતાની બાજુઓ પર રસી લગાવી તમે બધા બાહુબલી બની ગયા છો. કોરોનાથી લડવા માટે આ એક માત્ર રીત છે.