ગુરુગ્રામમાં ત્રણ માળની ઇમારત ધરાશાયી: કાટમાળ નીચે બે ડઝન લોકો ફસાયેલા હોવાની આશંકા
જિલ્લા વહીવટી તંત્રની તમામ ટીમો રાહત અને બચાવ કાર્યમાં લાગી
નવી દિલ્હી : દિલ્હી નજીક આવેલા ગુરુગ્રામમાં ત્રણ માળની ઇમારત ધરાશાયી થતા તેના કાટમાળ નીચે બે ડઝન લોકો ફસાયેલા હોવાની આશંકા છે. પ્રાપ્ત માહિતી અનુસાર, મકાન ધરાશાયી થવાની આ દુર્ઘટના ફરુકનગરના ખાવાસપુર વિસ્તારમાં ઘટી છે. હાલમાં જિલ્લા વહીવટી તંત્રની તમામ ટીમો રાહત અને બચાવ કાર્યમાં લાગી ગઈ છે. આ બિલ્ડિંગ સાંજના સાડા સાત વાગ્યાની આસપાસ પડી હતી, હજું સુધી બિલ્ડિંગ ધરાશાયી થવા પાછળનું કારણ જાણી શકાયું નથી.
સ્થળ પર હાજર ડીસીપી રાજીવ દેસવાલે જણાવ્યું હતું કે ‘અમને મકાન ધરાશાયી થવાની માહિતી મળી હતી. ફાયર બ્રિગેડ અને પોલીસ વિભાગના લોકો ઘટનાસ્થળે હાજર છે અને હાલમાં રાહત અને બચાવ કામગીરી ચાલુ છે.
બીજી તરફ ચોમાસાના ભારે વરસાદ અને ભૂસ્ખલનના કારણે મુંબઈમાં પણ કહેર સર્જાયો છે. ત્યાં રવિવારે ચેમ્બુર અને વિક્રોલીમાં જુદા જુદા અકસ્માતમાં 25થી વધારે લોકોનાં મોત નીપજ્યાં છે.