અડવાણીજી સક્રિય હોય તો હું શા માટે નિવૃત્તિ લઉં
કોંગ્રેસ વર્કિંગ કમિટિમાંથી બાદબાકી થયા બાદ દિગ્વિજયસિંહે આપી પ્રતિક્રિયા
નવી દિલ્હી તા. ૧૯ : રાજનીતિમાંથી નિવૃત્ત થવાના સવાલ પર દિગ્વિજયસિંહે કહ્યુ છે કે ચૂંટણી બાદ આગળની રણનીતિ પર કામ કરવામાં આવશે. તેની સાથે તેમણે ભાજપના વયોવૃદ્ઘ નેતા લાલકૃષ્ણ અડવાણીનો ઉલ્લેખ કરીને કહ્યુ છે કે જયારે આસપાસ અડવાણી હોય. તો તેમણે શા માટે રિટાયર થવું જોઈએ? કોંગ્રેસના નેતા દિગ્વિજયસિંહે કહ્યુ છે કે તેઓ પોતાના આખરી શ્વાસ સુધી કોંગ્રેસ માટે કામ કરતા રહેશે. કોંગ્રેસ વર્કિંગ કમિટીમાંથી બાદબાકી થયા બાદ મધ્યપ્રદેશના ભૂતપૂર્વ મુખ્યપ્રધાન અને પાર્ટીના વરિષ્ઠ નેતા દિગ્વિજય સિંહે પ્રતિક્રિયા આપી છે.
દિગ્વિજય સિંહે કહ્યુ છે કે તેઓ ચાહે કોઈપણ ઠેકાણે રહે. નફરતની રાજનીતિ વિરુદ્ઘ લડતા રહેશે. તેમણે ભાવુક અંદાજમાં કહ્યુ છે કે કોંગ્રેસે તેમને ઘણું બધું આપ્યું છે અને તેમના પર વિશ્વાસ પણ કર્યો છે. સીડબલ્યૂસીમાં પરિવર્તનનું દિગ્વિજયસિંહે સ્વાગત કર્યું છે. તેમણે કહ્યુ છે કે તેમની વિચારાધારા નફરત અને હિંસાની વિરુદ્ઘ છે. આવી શકિતઓ સામે પોતાના આખરી શ્વાસ સુધી લડતા રહેવાનો સંકલ્પ પણ દિગ્વિજયસિંહે વ્યકત કર્યો છે.
સીડબલ્યૂસીમાંથી દિગ્વિજયસિંહને સ્થાન નહીં મળવાને તેમના માટે એક મોટો રાજકીય ફટકો માનવામાં આવે છે. જો કે મધ્યપ્રદેશના ભૂતપૂર્વ મુખ્યપ્રધાને કહ્યુ છે કે તેમને નેતાઓની સાથે સંયોજન કરીને મધ્યપ્રદેશ વિધાનસભાની ચૂંટણીમાં કોંગ્રેસને જીતાડવાની જવાબદારી સોંપવામાં આવી છે.