સંસદ ઉપર હુમલો કરવા નીકળ્યા છે બે ખાલીસ્તાની
નેપાળના રસ્તે સફેદ ઈનોવામાં મોતનો સામાન સાથે આવી રહ્યાનો ધડાકોઃ સુરક્ષા વ્યવસ્થા સજ્જડ બનાવી દેવાઈ
નવી દિલ્હી, તા. ૧૯ : ત્રાસવાદીઓએ ફરી એક વખત સંસદ ભવન ઉપર હુમલાનું ષડયંત્ર રચ્યુ છે. આવવા માટે બે ખાલિસ્તાની ત્રાસવાદીઓ નાપાક ઈરાદાઓ સાથે દિલ્હી તરફ આગળ વધી રહ્યા છે. ગુપ્તચર એજન્સીઓ તરફથી મળેલા ઈનપુટ બાદ સેન્ટ્રલ અને ન્યુ દિલ્હી જીલ્લામાં સુરક્ષા વધારી દેવામાં આવી છે. એવી બાતમી મળી છે કે ત્રાસવાદીઓ યુપીના નંબરવાળી વિસ્ફોટો સાથેની કારમાં આવી રહ્યા છે.
સૂત્રોના જણાવ્યા પ્રમાણે બે ત્રાસવાદીઓ લખવિંદરસિંહ અને પરમીંદરસિંહ નેપાળ બોર્ડરથી સફેદ ઈનોવા (યુપી ૨૬એઆર ૨૪) કારથી આવી રહ્યા છે. ઈનપુટ મળ્યા છે કે તેઓની ઉંમર ૪૦ વર્ષની નજીક છે અને તેઓ આઈઈડી બનાવવામાં નિષ્ણાંત છે. આવા ઈનપુટને ગંભીરતાથી લેવામાં આવેલ છે. કારણ કે બાતમી નક્કર મળી છે. એજન્સી ઉપરાંત એક અજાણ્યા શખ્સે પણ ફોન પર આમ જણાવ્યુ છે.
આ એલર્ટ એવા સમયે આવેલ છે કે સ્વતંત્રતા દિવસ નજીક આવી રહ્યો છે.
ખાલીસ્તાની ત્રાસવાદી ભારતમાં જ નહિં ઈટલી, યુકે અને જર્મનીમાં પણ છે અને તેમણે પંજાબ અને દેશના અન્ય હિસ્સામાં હુમલાનું ષડયંત્ર રચતા હોય છે.